નવી દિલ્હી, 20 જુલાઈ 2026: નીટ પેપર લીક અને દેશમાં વધતી બેરોજગારીના મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આહવાત ‘સંસદ માર્ચ’ના કારણે દેશની રાજધાની દિલ્હીમાં ભારે હોબાળો મચી ગયો છે. મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ સંસદ ભવન નજીક પહોંચી જતાં સુરક્ષા બેરિકેડ્સ તૂટી પડ્યા હતા, જેને પગલે પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને વિરોધ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. સુરક્ષાના ભાગરૂપે સંસદ ભવનનો મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે.
સંસદ ભવનમાં બેઠકોનો દોર, નેતાઓની ગૃહમંત્રી અને JP નડ્ડા સાથે મુલાકાત
એકતરફ પ્રદર્શનકારીઓ રેલ ભવન અને પ્રેસ ક્લબ પાસે ધરણા પર બેસી ગયા છે, તો બીજી તરફ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંસદ ભવનની અંદર જઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ઇમરજન્સી બેઠક કરી હતી. આ ઉપરાંત, સ્થિતિ સામાન્ય બનાવવા માટે કેન્દ્ર સરકારે CJP નેતાઓને વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું હતું. મળતી માહિતી મુજબ, CJP પ્રતિનિધિમંડળના આશુતોષ રાંકા અને સૌરવ દાસ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા સાથે મુલાકાતે પહોંચ્યા છે.
મોટા રાજકીય નેતાઓ અને હસ્તીઓનો ટેકો
આ આંદોલનમાં આઝાદ સમાજ પાર્ટીના વડા અને સાંસદ ચંદ્રશેખર આઝાદ, આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા, સંજય સિંહ, અભિનેતા પ્રકાશ રાજ અને સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ પણ જોડાતાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું હતું. સાંસદ ચંદ્રશેખર આઝાદે જણાવ્યું હતું કે, “હું દેશના યુવાનોનો અવાજ બનવા અહીં આવ્યો છું. સરકાર યુવાનો સાથે અન્યાય કરી રહી છે અને અમે આ સહન નહીં કરીએ.”
દિલ્હી મેટ્રોના 5 મુખ્ય સ્ટેશનો અસ્થાયી રૂપે બંધ
સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે દિલ્હી પોલીસ દ્વારા સમગ્ર નવી દિલ્હી વિસ્તારમાં BNS section 163 (અગાઉની કલમ 144) લાગુ કરી દેવામાં આવી છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા એન્ટ્રી-એક્ઝિટ માટે ૫ મુખ્ય મેટ્રો સ્ટેશનો — રાજીવ ચોક, જનપથ, પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય અને સેવા તીર્થ બંધ રાખવામાં આવ્યા છે. CJPના સ્થાપક અભિજીત દીપકે આહવાહન કરેલા આ માર્ચને પોલીસે મંજૂરી આપી ન હોવા છતાં દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા હતા.

