Site icon Revoi.in

અમદાવાદના ઓઢવમાં માલધારીઓના મકાનો તોડી પડાતા કોંગ્રેસના નેતાઓ અસરગ્રસ્તોને મળ્યાં

Social Share

અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહતમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરીને માલધારીઓના મકાનો તોડી પાડ્યા છે. કહેવાય છે. કે, આ જગ્યા મ્યુનિ.કોર્પોરેશનની માલિકીની છે. અને વર્ષોથી આ જગ્યા પર માલધારીઓની વસાહત છે. મ્યુનિ. દ્વારા ડિમોલિશન કરીને અનેક માલધારીઓના મકાન તોડી પાડવામાં આવતા માલધારી સમાજમાં ભારે વિરોધ ઊભો થયો છે.  દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત પક્ષના નેતાઓ ઘર વિહોણા થયેલા માલધારી સમાજના લોકોને મળવા પહોંચ્યા હતા. શક્તિસિંહ ગોહિલ તમામ લોકોને રૂબરૂ મળ્યા હતા અને આ અંગે તેમણે સરકારને રજૂઆત કરવાની બાહેંધરી આપી હતી.

અમદાવાદ શહેરના ઓઢવની રબારી વસાહતમાં મ્યુનિ.કોર્પોરેશને મેગા ડિમોલેશન હાથ ધરીને માલધારી તથા અન્ય સમાજના 120થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. મ્યુનિ.  દ્વારા હજુ પણ આ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી ચાલુ જ છે.  ત્યારે ઘર વિહોણા થયેલા અસરગ્રસેતોને મળવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ધારાસભ્ય શૈલેષ પરમાર સહિતના આગેવાનો રબારી વસાહત પહોંચ્યા હતા. શક્તિસિંહ ગોહિલ જે લોકોના ઘર તૂટ્યા છે તે લોકોને રૂબરૂ મળ્યા હતા. અલગ અલગ ગલીઓમાં જઈને તેમણે ઘર તૂટ્યાનું નિરીક્ષણ કર્યું હતું.

શક્તિસિંહ ગોહિલે ઘર વિહોણા થયેલા લોકોને મળીને વાતચીત પણ કરી હતી, ત્યારે એક વૃદ્ધ તેમની સામે વાત કરતા કરતા રડી પડ્યા હતા અને તેમની વ્યથા જણાવી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ. સરકારે જ અમને માલધારીઓ માટેની અલગ જગ્યા ફાળવી હતી અને હવે ટૂંક સમયની નોટિસ આપીને અમારા મકાન તોડી પાડવામાં આવ્યા છે. ડિમોલિશન કરેલી જગ્યાની મુલાકાત બાદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પથ્થરદિલ વ્યક્તિ પણ અહીંયા આવીને જોવે તો હૃયદ દ્રવી ઉઠે તેવી સ્થિતિ છે. રબારી વસાહતમાં અમાનવીય રીતે સરકારે તોડફોડ કરી છે. ત્રણેય તરફ રસ્તા હોવા છતાં નવા રસ્તાની શું જરૂર હતી? આ વિસ્તારમાં રહેતો એક યુવક લોકો માટે લડતો હોવાથી એનું મકાન તોડવામાં આવ્યું છે. દલિત, બક્ષીપંચ અને માલધારી સમાજના ઘર તોડવામાં આવ્યા છે. કુદરતી સિદ્ધાંતનું પાલન કરી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી ઘર તોડવું જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે, એક દિવસની નોટિસ આપી ઘર તોડવામાં આવ્યા છે. ભગવાનના નામે મત મેળવતા લોકોને ભગવાન પણ માફ નહીં કરે. ભાજપના અહંકારને વ્હાલા ગુજરાતીઓ તોડે એવી વિનંતી છે. અમે જ્યારે વાત કરીએ ત્યારે અધિકારીઓ કહે છે કે, અમને તો સરકારનો આદેશ હતો. સરકાર ક્યારેય સરમુખત્યાર ના હોઇ શકે. જેમના આશીર્વાદ મળ્યા હોય એમના આશિયાના ના તોડવા જોઇએ. હિન્દુ ધર્મના નામે મત લો છો ત્યારે ભગવાનના ફોટા તો કાઢવા દેવા હતા. કાટમાળ નીચે ભગવાનના ફોટા, ઘરવખરી જોવા મળી રહી છે. કોંગ્રેસ પક્ષની પૂરી સહાનુભૂતિ અસરગ્રસ્તો સાથે છે. ગાયના નામે મત મેળવી જ્યાં ગાયો રહે છે ત્યાં જ તોડફોડ કરે છે. મુખ્યમંત્રી અહીંયા આવી એમનું દુ:ખ જોવે તો ખબર પડે. દુ:ખ જોઇ હવેથી આવા બુલડોઝર નહીં ફેરવવાની જાહેરાત કરે તો કોંગ્રેસ એમનું સન્માન કરશે.

Exit mobile version