અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામના નિર્માણ કાર્યનો સોમવારથી પ્રારંભ, 31000 દિવડાવો દીપોત્સવ
અમદાવાદઃ વિશ્વના સૌથી ઊંચા ભવ્યાતિ ભવ્ય ઉમિયા માતાજીના મંદિરનું મહાભૂમિપૂજન તા. 4થી માર્ચ 2019 અને શિલાન્યાસ 29 ફેબ્રુઆરી 2020ના રોજ સંપન્ન થયો હતો. હવે વિશ્વની અજાયબી રૂપ વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાનાં મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ આગામી તા. 22મી નવેમ્બર 2021ને સોમવારથી થશે. જેમાં મહાયજ્ઞ, 31 હજાર દિવડાઓનો દીપોત્સવ, શોભાયાત્રા અને વ્યસન મુક્તિ બાઈક રેલીનું આયોજન કરાયું છે. સાથે જ સાંજે 5 કલાકે કાર્ય પ્રારંભ સમારોહ યોજાશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ અને સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.
વિશ્વઉમિયાધામ નિર્માણ કાર્યના શુભપ્રસંગે શ્રી શતચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં પાટીદાર સહિત તમામ સમાજના 100થી વધુ યજમાન પરિવારો મહાયજ્ઞનો લાભ લેશે. શતચંડી મહાયજ્ઞનો પ્રારંભ સવારે 8.30 કલાકે થશે. જેની પૂર્ણાહુતિ સાંજે 5 કલાકે થશે. જાસપુર ખાતે નિર્માણાધીન જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરની આકૃતિના આકારમાં 31000 દિવાડાઓ પ્રગટાવી ગુજરાતના સૌથી મોટા દીપોત્સવની ઉજવણી કરાશે. વિશેષરૂપે દીપોત્સવમાં 300થી વધુ વિશ્વ ઉમિયાધામની ઉમાસેવિકા બહેનો 31000 દિવાડીઓ પ્રગટાવશે.
જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણ કાર્યપ્રારંભ પ્રસંગે અમદાવાદ એસ.જી.હાઈવે સ્થિત એસજીવીપી ગુરૂકૂળથી વિશ્વ ઉમિયાધામ, જાસપુર સુધી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રામાં હાથી,ઘોડા અને ઉંટ સહિત અનેક મા ઉમિયાના ભક્તો જોડાશે. શ્રી શતચંડી મહાયજ્ઞ સાથે ઉમિયા ભક્તો માટે સવારે 9.30 કલાકે શ્રીયંત્ર મહાપુજાનું આયોજન કરાયું છે.જેમાં ઉમિયા ભક્તો પૂજા આચરણ કરી મંદિર નિર્માણ કાર્યરંભ કરાવશે
જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણ ભગીરથી મા ગંગાના જળનો ઉપયોગ થાય એ હેતુથી ગંગા જળથી ભરેલાં 108 કળશનું મંદિર પરિસરમાં બપોરે 12.15 કલાકે પૂજન કરાશે. વિશેષરૂપે અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં પરિભ્રમણ કરેલાં નિધિ કળશનું વિશ્વઉમિયાધામ મંદિરમાં મહાપૂજન કરાશે.અને આ પ્રસંગે મોટી સંખ્યામાં માં ઉમા ભક્તો પણ જોડાશે, (મંદિરની પ્રતિકાત્મક તસવીર છે )