1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બંગલો પચાવી પાડવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ઠગ કિરણ પટેલના પત્ની માલિનીની કરી ધરપકડ
બંગલો પચાવી પાડવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ઠગ કિરણ પટેલના પત્ની માલિનીની કરી ધરપકડ

બંગલો પચાવી પાડવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ઠગ કિરણ પટેલના પત્ની માલિનીની કરી ધરપકડ

0
Social Share

અમદાવાદઃ જમ્મુ-કાશમીરમાં પીએમઓ યાને વડાપ્રધાન કાર્યાલયના અધિકારી તરીકે ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યુરિટી અને સરકારી ખર્ચે જલસા કરતા પકડાઈ ગયેલા અમદાવાદના કિરણ પટેલના અનેક કરતૂસો બહાર આવ્યા છે. જેમાં અમદાવાદમાં એક પૂર્વ મંત્રીના ભાઈનો કરોડો રૂપિયાની કિંમતનો બંગલો પચાવી પાડવાનો પણ આરોપ હતો.આ અંગે શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલના પત્ની માલિનીની ધરપકડ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ઘોડાસરમાં રહેતા કિરણ પટેલે પોતાની ઓળખ પીએમઓના ટોપના અધિકારી તરીકે આપી હતી અને પછી જમ્મુ-કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યુરિટી મેળવી હતી. જે બાદ તેનો ભાંડો ફૂટતા કાશ્મીરની પોલીસે ધરપકડ કરી હતી. કિરણ પટેલની ધરપકડ થયા બાદ તેના ઢગલાબંધ કાંડ પણ સામે આવ્યા હતા. એટલું જ નહીં કિરણ પટેલે ભાજપના નેતા જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાને પણ પોતાની ઓળખ પીએમઓના અધિકારી અને પ્રોપર્ટી બ્રોકર તરીકે આપી હતી અને તેમનો 15 કરોડનો બંગલો પચાવી પાડ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં તેની પત્ની માલિનીની પણ સંડોવણી હોવાનો આરોપ જગદીશ ચાવડાએ મૂક્યો હતો. ત્યાર બાદ ધરપકડના ડરથી માલિની પટેલે આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કિરણ પટેલની પત્ની માલિનીની નડિયાદના એક મકાનમાંથી તેની ધરપકડ કરી છે. 15 કરોડનો બંગલો પચાવી પાડવાના કેસમાં ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી છે. ત્યારે પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર કેસની વિગતો એવી છે કે, શીલજ વિસ્તારમાં રહેતાં 63 વર્ષીય જગદીશ ચાવડા કે જેઓ ભાજપના નેતા જવાહર ચાવડાના ભાઈ છે. તેઓએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરીને એવા આક્ષેપ મૂક્યા હતા કે, કિરણ અને તેની પત્ની માલિનીએ 15 કરોડના તેમના બંગલા પર ગેરકાયદે રીતે કબજો જમાવી દીધો છે. કિરણે તેમને વાયદો કર્યો હતો કે, તે પૈસા ચૂકવશે કારણ કે તેને એક મોટા કોર્પોરેટ હાઉસ તરફથી મોટો પ્રોજેક્ટ મળવાનો હતો. ઠગ કિરણ પટેલે પોતાની ઓળખ પ્રોપર્ટી બ્રોકર તરીકે આપી હતી. તેણે ફેબ્રુઆરી 2022માં તેમની પત્ની ઈલા ચાવડાનો સંપર્ક કર્યો હતો અને શીલજમાં આવેલા તેમનો બંગલો વેચવા માટે પૂછપરછ કરી હતી. થોડા દિવસો પછી ઠગ કિરણ પટેલ તેમને મળ્યો હતો અને બંગલો જોયો હતો. જગદીશ ચાવડાના જણાવ્યા મુજબ, કિરણ પટેલે તેમને જણાવ્યું હતું કે તેને બંગલો રિનોવેશન કરવાનો શોખ છે અને પછી એવું આશ્વાસન આપ્યું હતું કે, રિનોવેશન બાદ તે બંગલો વેચી દેશે. જગદીશ ચાવડાને ખોટા વાયદા કર્યા બાદ કિરણ પટેલે તેમની પાસેથી રુપિયા 35 લાખ લીધા હતા. એ પછી જગદીશ ચાવડા પોતાના વતન જૂનાગઢ જતા રહ્યા હતા. જ્યારે તેઓ પરત ફર્યા તો જોયું કે ઠગ કિરણ પટેલે બંગલાની બહાર તેની નેમ પ્લેટ લગાવી દીધી હતી. એટલું જ નહીં કિરણ પટેલે બંગલાનું વાસ્તુ પૂજન પણ કર્યુ હતુ. ફરિયાદી જગદીશ ચવાડાએ કરેલી ફરિયાદ મુજબ, જ્યારે કિરણ પટેલને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે, તે આ બંગલો ખરીદી લેશે. કિરણ પટેલે એવું જણાવ્યું હતું કે, તેને કોર્પોરેટ હાઉસમાંથી એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે. એનું પેમેન્ટ આવ્યા બાદ તે બંગલાના રુપિયા પણ ચૂકવી દેશે. ત્યારબાદ  ઓગસ્ટ 2022માં જગદીશ ચાવડાને અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટ તરફથી કિરણ પટેલ દ્વારા બંગલાના ગેરકાયદે કબજાનો આરોપ લગાવતા અને તેમની સામે દાખલ કરવામાં આવેલા દાવા અંગે નોટિસ મળી હતી. જગદીશ ચાવડાએ જણાવ્યું કે, આ મામલે તેઓએ આઠ મહિના પહેલાં ક્રાઈમ બ્રાંચમાં અરજી કરી હતી. આઠ મહિના બાદ આ મામલે ફરિયાદ થઈ હતી. ત્યારે કિરણ પટેલની પત્ની માલિનીનું નામ પણ આ કાવતરામાં સંડોવાયેલું હોવાનો આક્ષેપ બાદ તે ડરી ગઈ હતી.  બાદ માલિની પટેલે ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. તેણે પોતાનો લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, આ કેસ સાથે તેને કોઈ લેવાદેવા નથી. ઘરમાં તે એકમાત્ર કમાઉ વ્યક્તિ હોવાથી તેનો પરિવાર ભૂખે મરશે. આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાંચે માલિની પટેલની નડિયાદના એક મકાનમાંથી ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code