અમદાવાદઃ શહેરમાં ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન સાથે જ રાત્રે ઠંડી અને બપોરવા ટાણે ગરમી એમ બે ઋતુનો અનુભવ લાકોને થઈ રહ્યો છે. સાથે જ વાયરલ બીમારીના દર્દીઓમાં વધારો થયો છે. ઉપરાંત પાણીજન્ય રોગ એવા ઝાડા ઊલટીના 269 અને કમળાના 71 કેસ નોંધાયા છે. નવેમ્બરના પ્રથમ 20 દિવસમાં ડેન્ગ્યૂના 142 કેસ નોંધાયા છે. શહેરમાં પ્રદૂષિત પાણીના કારણે અને બહારના અખાદ્ય ખોરાકના કારણે ઝાડા ઊલટીના કેસોમાં વધારો થયો હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં હળવો હળવો ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યાં દિવાળીથી લઇ અત્યારે પણ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ ઋતુગત બીમારીના ભરડામાં મોટી સંખ્યામાં દર્દીઓ ભરખાઈ રહ્યા છે. જેની સાથે જ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં છેલ્લા થોડાં સમયથી વાયરલ ઈન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં રોજની ઓપીડી 2,536 દર્દીઓ નોંધાયા છે. જેમાં શરદી ખાંસી તાવ સહિત વાયરલ ઇન્ફેક્શનના કેસ નોંધાયા છે. મેલેરિયાના 23, ઝેરી મેલેરિયાના 6 તથા ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો હતા.
આ ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 7 કેસ ,કામળાના 15 કેસ, નોંધાયા છે. જ્યારે વાયરલ ઇન્ફેક્શનના 8 દર્દીને એડમિટ કરવાની ફરજ પડી છે. છેલ્લા પાંચ દિવસમાં સોલા હોસ્પિટલમાં જ પાણીજન્ય રોગના 150 કેસ તેમજ ટાઈફોઈડના 62, ઝાડા ઉલ્ટીના 61, કમળાના 27 કેસ નોંધવામાં આવ્યા છે.
શહેરમાં સવાર-સાંજ વાતાવરણ ઠંડુ હોય છે જ્યારે બપોરે ગરમી હોવાથી બેવડી ઋતુના કારણે રોગચાળો બેકાબુ થયો છે. ઘરે-ઘરે બીમારીના ખાટલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. AMC અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જ્યાં શરદી-ખાંસીના 2 હજાર જેટલા કેસ નોંધાયા છે. લોકો શરદી અને તાવના લીધે બીમાર પડી રહ્યા છે. શહેરમાં નવેમ્બર માસના 19 દિવસના ટૂંકા ગાળામાં જ ઝાડા ઊલટીના 269 કેસ નોંધાયા છે. જ્યારે કમળાના 71 કેસ નોંધાઈ ચુક્યા છે, ટાઈફોઈડના પણ 176 કેસ નોંધાયા છે.