
ગુજરાતમાં બે મહિનાથી રેશનિંગ કાર્ડ પર તુવેરદાળનું વિતરણ ન કરાતાં કાર્ડધારકોમાં અસંતોષ
અમદાવાદઃ રાજ્યમાં ગરીબ પરિવારોને રેશનિગનું અનાજ આપવામાં આવતું હોય છે. સસ્તાદરે અપાતું અનાજ ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ બનતું હોય છે. રેશનિગમાં અનાજ ઉપરાંત કઠોળનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે. ત્યારે છેલ્લા બે મહિનાથી તુવેરદાળનું વિતરણ કરાયું નથી.
રાજયનાં પુરવઠા તંત્રનાં ઉચ્ચ સતાધીશોએ રેશનીંગમાં લાભાર્થીઓને અપાતી તુવેરદાળનું વિતરણ હજુ ચાલુ જ રાખવામાં આવનાર હોવાની જાહેરાત કરી હતી. આમ છતા છેલ્લા બે માસ કરતાં વધુ સમય થયો હોવા છતાં આજ સુધી રેશનકાર્ડ ધારકોને તુવેર દાળનું વિતરણ શરૂ કરાયું નથી. આથી એવા અનેક લાભાર્થીઓ છે કે હજુ સુધી તુવેરદાળની રાહ જોઈ બેઠા છે. આવા લાભાર્થીઓ, તુવેરદાળ અંગે રેશનીંગનાં દુકાનદારોને પૂછપરછ કરે છે તો દુકાનદારો માત્ર એક જ જવાબ આપે છે કે ઉપરથી જ હજુ ફાળવણી થઈ નથી. દરમિયાન આ પ્રશ્ન અંગે રાજયનાં જવાબદાર પુરવઠા અધિકારીઓનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જ છેલ્લા બે માસથી નાફેડને તુવેરદાળની ફાળવણી થઈ નથી. આથી નાફેડ દ્વારા આજ સુધી રાજયનાં પૂરવઠા તંત્રને તુવેરદાળ અપાઈ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર નાફેડને તુવેરદાળ ફાળવે છે અને નાફેડ દ્વારા ટેન્ડર કરી દાળનું મીલીંગ કરાવાય છે. ત્યારબાદ પુરવઠા વિભાગને વિતરણ માટે અપાય છે. જોકે બે માસ કરતા વધુ સમયથી તુવેરદાળ કેન્દ્ર સરકારે ફાળવી ન હોય નાફેડે વિતરણ અંગેની કોઈ પ્રક્રિયા આજ સુધી હાથ ધરી નથી. રાજયમાં દર મહિને રેશનકાર્ડ ધારકો માટે 7 હજાર ટન, તુવેરદાળ ફાળવવામાં આવતી હતી.અને આ દાળ રૂા.50 લેખે લાભાર્થીઓને અપાતી હતી. જોકે, આ દાળ મોંઘી પડતી હોય મોટાભાગનાં લાભાર્થી લેતા નથી આથી વેપારીઓ પણ મોટાભાગે તુવેરદાળના જથ્થાનો ઉપાડ કરતા નહોતા.