શું તમને કર્મનાથ મહાદેવ વિશે જાણો છો? આ છે કામનાપૂર્તિ કર્મનાથનો મહિમા
શ્રાવણ મહિનામાં શિવભક્તો ભગવાન ભોલેનાથની ભક્તિમાં એવી તલ્લીન થતા હોય છે એવુ લાગે કે તેમના માટે શિવ જ બધુ છે અને શિવ જ તેમની દુનિયા, જો તે વાતમાં કોઈ શંકા નથી, દરેક વ્યક્તિએ ભક્તિ કરવી તો આ રીતે જ કરવી જોઈએ પણ શિવભક્તોએ આ પવિત્ર શ્રાવણ મહિનામાં કર્મનાથ મહાદેવ વિશે પણ જાણવું જોઈએ.
વાત એવી છે કે અહીં વિદ્યમાન મહેશ્વરનું રૂપ ઘણું જ નાનું છે. અલબત્ તેમના પરચા તો ખૂબ જ મોટા છે. માન્યતા અનુસાર તો ભક્તોને હાજરાહજૂરપણાંની અનુભૂતિ કરાવે છે કર્મનાથ મહાદેવ. સમગ્ર ભારતમાં અનેકવિધ શિવાલય (Shivalaya) આવેલાં છે. માહાત્મ્ય અને સ્થાપત્યની દૃષ્ટિએ દરેકની આગવી જ મહત્તા છે.
અહીં મંદિરના ગર્ભગૃહ મધ્યે એક ખૂબ જ નાનકડું શિવલિંગ વિદ્યમાન છે. મહેશ્વરનું આ રૂપ એટલે જ કર્મનાથ મહાદેવ. કહે છે કે આ નાનકડાં શિવલિંગનો ખૂબ જ મોટો મહિમા છે. એક માન્યતા અનુસાર કર્મનાથ એટલે તો કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ કરાવતા મહાદેવ. અર્થાત્, ભક્ત જેવી ભાવના સાથે અહીં આવે છે, અને જેટલાં શુદ્ધ તેના કર્મ છે તે અનુસાર જ મહેશ્વર ફળની પ્રાપ્તિ કરાવે છે !
દંતકથા અનુસાર આજે પણ અહીં મંદિરમાં એ જ શિવલિંગ સ્થાપિત છે કે જેની સ્થાપના સ્વયં ઋષિ કર્દમે કરી હતી. કર્દમ ઋષિ દ્વારા સ્થાપિત હોઈ શિવલિંગ પૂર્વે ‘કર્દમનાથ મહાદેવ’ના નામે પૂજાતું. અલબત્, આજે અપભ્રંશ બાદ તે કર્મનાથ મહાદેવના નામે ખ્યાત છે. સ્વયં ‘હરિ’ના પરમ ભક્ત દ્વારા ‘હર’નું રૂપ સ્થાપિત હોઈ આ શિવલિંગ સર્વ મનશાની પૂર્તિ કરનારું મનાય છે. જેના પરચા શ્રદ્ધાળુઓને અહીં સદીઓથી મળતા જ રહ્યા છે.
આ લેખ લોકોને શ્રધ્ધા અને માન્યતાને આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને તેના પર કોઈ દાવો કરવામાં આવતો નથી.