Site icon Revoi.in

ડૉ. એસ. જયશંકરે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ ત્રીજા પક્ષની મધ્યસ્થીનો ઇનકાર કર્યો

Social Share

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થીનો ઇનકાર કર્યો, અને પુનરોચ્ચાર કર્યો હતો કે ઇસ્લામાબાદ સાથેના વ્યવહારો સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ડૉ. જયશંકરે કહ્યું કે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે ચર્ચા કરવાની બાકી રહેલી એકમાત્ર બાબત કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે કબજા હેઠળના ભારતીય પ્રદેશને ખાલી કરાવવાની છે.

વિદેશ મંત્રીએ ભાર મૂક્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત આતંકવાદ પર જ થશે. તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાન પાસે આતંકવાદીઓની યાદી છે જેને સોંપવાની જરૂર છે, અને તેમણે આતંકવાદી માળખાને તોડી પાડવું પડશે.

વિદેશ મંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે, જો પાકિસ્તાન સાથે વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ અને પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજા હેઠળના કાશ્મીર (PoK) ને ખાલી કરવાના મુદ્દા પર જ થશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “હવે જો કાશ્મીર વિશે ચર્ચા કરવા માટે ફક્ત એક જ વિષય બાકી છે, તો તે છે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજા હેઠળના કાશ્મીર (POK) ને ખાલી કરવાનો અને અમે તેના પર ચર્ચા કરવા તૈયાર છીએ.” જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે, ભારત PoK ના મુદ્દા પર કોઈપણ ત્રીજા દેશની દખલગીરી સ્વીકારશે નહીં અને બંને દેશો વચ્ચે કોઈપણ ત્રીજા પક્ષ દ્વારા દખલગીરી સહન કરવામાં આવશે નહીં. તેમણે યાદ અપાવ્યું કે બંને દેશો વચ્ચે વર્ષોથી એક કરાર છે કે તેમના સંબંધો અને વ્યવહાર સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે, અને તેમાં કોઈ ફેરફાર થયો નથી.