
મોરબી : શહેરના ઝૂલતો પુલ દુર્ઘટનાને હજુ માંડ સવા મહિના જેટલો સમય વીત્યો છે અને લોકો હજુ એ દુર્ઘટનાને ભૂલી શક્યા નથી. ત્યારે આજે ટંકારા પંથકમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. જેમાં ઉગમણા નાકા પાસેથી ગેટ ધરાશાયી થયો હતો. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. દુર્ઘટના પહેલા જ એક સ્કુલ બસ પસાર થઈ હતી. જો આ ગેટ તે સ્કુલ બસ ઉપર તૂટી પડ્યો હોત તો મોરબીમાં જે રીતે ગોઝારો અકસ્માત બન્યો હતો તેવો જ ગોઝારો અકસ્માત આજે ટંકારામાં બન્યો હોત.
મોરબીમાં બ્રિજ તૂટવાની ઘટના હજી તાજી જ છે, ત્યાં જિલ્લાના ટંકારામાં ઉગમણા નાકા પાસે પ્રવેશદ્વાર ધડાકાભર બપોરે તૂટી પડ્યો હતો. જોકે સદનસીબે બપોરે ટંકારાના માર્ગ ઉપર અવરજવર ઓછી હતી, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ જો આ ગેટ ત્યાંથી પસાર થઈ રહેલી ખાનગી સ્કુલ બસ ઉપર તૂટી પડ્યો હોત તો ગોઝારો અકસ્માત સર્જાત તેવું ગામનું લોકોનું કહેવું છે.
મોરબીમાં આવેલ ઝુલતો પુલ તાજેતરમાં જ તૂટી પડ્યો હતો, જેમાં 135 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનાના પડઘા ન માત્ર મોરબી કે ગુજરાત, પરંતુ દેશભરમાં પડ્યા હતા. આ ઘટનાની શાહી હજુ તો સુકાઈ નથી અને જે લોકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા હતા તેની આંખના આંસુ સુકાયા નથી, ત્યાં આજે વધુ એક દુર્ઘટના મોરબી જિલ્લાના ટંકારામાં બનતા સહેજમાં રહી ગઈ. ટંકારાના ઉગમણા નાકા પાસે હેમંતભાઈના સ્મરણાર્થે તેમના દીકરા અને ભત્રીજાઓ દ્વારા પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો હતો. આજે બપોરના સમયે આ ગેટ ધડાકાભેર તૂટી પડ્યો હતો. જોકે સદનસીબે આ ગેટ તૂટી પડ્યો ત્યારે ત્યાં નીચેથી કોઈ વ્યક્તિ પસાર થતી ન હતી. જેથી કરીને જાનહાનિ કે ઈજાનો બનાવ બન્યો નથી. પરંતુ સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ ગેટ તૂટી પડ્યો તેની ગણતરીની સેકન્ડ પહેલા જ ત્યાંથી બે ખાનગી સ્કૂલની બસ પસાર થઈ હતી અને જો આ ગેટ તે સ્કુલ બસ ઉપર તૂટી પડ્યો હોત તો મોરબીમાં જે રીતે ગોઝારો અકસ્માત બન્યો હતો તેવો જ ગોઝારો અકસ્માત આજે ટંકારામાં બન્યો હોત.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સાત મહિના પહેલા બનાવવામાં આવેલ ગેટ તૂટી પડ્યો છે, ત્યારે અન્ય જોખમી બાંધકામોનો પણ સર્વે કરીને મોરબી જિલ્લામાં વહેલામાં વહેલી તકે જોખમી બાંધકામોને હટાવી લેવામાં આવે તેવી ટંકારાના લોકોની માંગ છે.