1. Home
  2. ગુજરાતી
  3. બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતિત, જિલ્લાના એક પણ ડેમમાં પાણી નથી
બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતિત, જિલ્લાના એક પણ ડેમમાં પાણી નથી

બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતિત, જિલ્લાના એક પણ ડેમમાં પાણી નથી

0
Social Share

પાલનપુર : બનાસકાંઠામાં સામાન્ય વરસાદ બાદ મેધરાજાએ રિસામણા કરતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે, તો એકબાજુ જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા, સિપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની સ્થિતિ તળિયાં ઝાટક હોવાથી પાણી મળવાની કોઈ આશા ન હોવાથી વરસાદ વગર ખેડૂતોના પાક સુકાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પાકિસ્તાનની સરહદે આવેલો બનાસકાંઠો જિલ્લો હંમેશા પાણીની તકલીફનો સામનો કરી રહ્યો છે. જોકે નર્મદાની નહેર આવતા સરહદી વિસ્તારમાં સિંચાઇના પાણીની સમસ્યા થોડે અંશે ઓછી થઈ હતી. જોકે બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓ વરસાદ આધારિત હોવાથી ખેડૂતો વરસાદની આશાએ વાવેતર કરતા હોય છે, ત્યારે આ વર્ષે પણ જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને મોંઘી ખેડાઈ આપીને વાવેતર કર્યું હતું. જોકે વાવણી કરાયા બાદ મોટાભાગના તાલુકાઓમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલા ત્રણ ડેમના પણ તળિયા ઝાટક હોવાથી પાણી માટે કોઈ વિકલ્પ બચ્યો નથી. જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ફક્ત 10 ટકા પાણી બચ્યું છે. તો સિપુ ડેમમાં બિલકુલ પાણી નથી. અને મુક્તેશ્વર ડેમમાં ફક્ત 10 ટકા પાણી બચ્યું હોવાથી જમીનમાં પાણીના તળ ઊંડા જવાથી ખેડૂતોના પાકને એકપણ જગ્યાએથી પાણી મળે તેવી કોઈ સ્થિતિ નથી રહી જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે હવે 10 દિવસમાં વરસાદ ન પડે તો ખેડુતોનો મહામુલો પાક સુકાઈ જશે અને ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવે તેમ છે. જેથી ખેડુતો માંગ કરી રહ્યા છે કે કોઈપણ ભોગે જિલ્લાના ત્રણેય ડેમોમાં નર્મદાનું પાણી નાખવામાં આવે જેથી જમીનના તળ ઊંચા આવે અને વરસાદ ખેંચાય તો પણ ખેડૂતોના પાકને નુકસાન ન થાય. જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગ ન હોવાથી મોટાભાગના લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ આ વર્ષે વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરવો પણ મુશ્કેલ બન્યો છે.

જેથી જો વરસાદ વધુ ખેંચાશે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જશે ખેડૂતો હવે સરકાર પાસે ડેમોમાં પાણી નાખવા મદદની અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતો ઉપર વરસાદ મહેરબાન થાય છે કે સરકાર? એક બાજુ ખેડૂતોએ વરસાદની આશાએ વાવણી કરી પણ વરસાદ ખેંચાયો છે તો બીજું બાજુ બનાસકાંઠાના ત્રણેય ડેમો તળિયા ઝાટક છે અત્યારે અમે સિપુડેમ ઉપર છીએ અને આપ જોઈ રહ્યા છો આ ડેમમાં બિલકુલ પાણી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code