1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ માટે 30મી મે સુધી ફોર્મ જમા કરાવી શકાશે, 31મીએ મેરિટ જાહેર થશે
ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ માટે 30મી મે સુધી ફોર્મ જમા કરાવી શકાશે, 31મીએ મેરિટ જાહેર થશે

ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ માટે 30મી મે સુધી ફોર્મ જમા કરાવી શકાશે, 31મીએ મેરિટ જાહેર થશે

0
Social Share

અમદાવાદઃ શાળાઓમાં હાલ તો ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. સાથે ધોરણ 10ના પરિણામ બાદ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ કચેરીએ ધોરણ 11 સાયન્સની 150 સ્કૂલની 9 હજારથી વધુ બેઠકો પર શૈક્ષણિક વર્ષ 2024-25 માટેના પ્રવેશ કાર્યક્રમની જાહેરાત કરી છે, જે અનુસાર ગત તા. 25 મેથી શાળા કક્ષાએથી પ્રવેશ ફોર્મ આપવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. આ પ્રવેશ ફોર્મ 30 મે સુધી સ્વીકારવામાં આવશે. જે તે વિજ્ઞાન પ્રવાહની શાળાઓ દ્વારા 31મીએ મેટીર યાદી જાહેર કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 10નું પરિણામ ઉંચુ આવ્યું છે. ત્યારે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી જાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજન કરાયું છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોની ઉચ્ચ માધ્યમિક શાળાઓ દ્વારા ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે ગત તા 25મી મેથી પ્રવેશ માટેના ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે. તા. 30મી મે પ્રવેશ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ડીઈઓ દ્વારા દરેક સ્કૂલને વિદ્યાર્થીઓની ઓવરઓલ પ્રવેશ મેરિટ યાદી તૈયાર કરીને 31 મેએ સવારે 9 વાગ્યે નોટિસ બોર્ડ પર મૂકવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓમાંથી પ્રવેશને પાત્ર હોય તેવા વિદ્યાર્થીઓની પ્રથમ પ્રવેશ યાદી 1 જૂને જાહેર કરવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર બીજી અને ત્રીજી પ્રવેશ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે.

ડીઈઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 10માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીમાં મેળવેલા ગુણને ધ્યાનમાં રાખીને પ્રવેશ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. આ પ્રવેશ પ્રક્રિયા પ્રોવિઝનલ માર્કશીટને ધ્યાનમાં રાખીને કરવાની રહેશે. શાળા કક્ષાની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ પ્રવેશથી વંચિત રહેલા વિવિધ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે કેન્દ્રીય ભરતી પ્રક્રિયાનાં ફોર્મ 10 જૂનના રોજ સરકારી કન્યા શાળા, રાયખડ અમદાવાદ ખાતે સવારે 11થી બપોરે 4 દરમિયાન મેળવીને તે જ દિવસે ફોર્મ ભરીને વિતરણ કેન્દ્ર પર પરત જમા કરાવવાનાં રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code