રાજકોટ, 26 એપ્રિલ 2026: Two killed as pickup overturns on Rajkot-Gondal highway રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલ પાસે ગુંદાળા ચોકડી નજીક ઓવરબ્રિજ પર એક બોલેરો પિકઅપ ગાડીનું ટાયર ફાટતા શ્રમિકો 30 ફૂટ નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે ચાર શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, એક બોલેરો પિકઅપ ગાડી રાજકોટથી જેતપુર તરફ જઈ રહી હતી. આ ગાડીમાં માછીમારીની જાળ અને પાંચ જેટલા ગેસના ખાલી સિલિન્ડર ભરેલા હતા. સામાનની ઉપર લગભગ 15 જેટલા શ્રમિકો સૂતા હતા. જ્યારે પીકઅપ ડાલુ ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યુ હતુ, ત્યારે અચાનક તેનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતા જ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને પીકઅપ ડાલુ પલટી ખાઈને બ્રિજની સંરક્ષણ દીવાલ સાથે ધડાકાભેર અથડાયુ હતું. આ અકસ્માતમાં પીકઅપ ડાલા પર સૂતેલા શ્રમિકો હવામાં ફંગોળાઈને 30 ફૂટ નીચે રોડ પર પટકાયા હતા.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક સામાજિક અગ્રણીઓ ગણેશ જાડેજા, અશોક પીપળીયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. 108 એમ્બ્યુલન્સની રાહ જોયા વગર, ગણેશ જાડેજાએ માનવતા દાખવી પોતાની અંગત કારમાં જ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. બ્રિજ પર પલટી મારેલી ગાડીમાં ગેસના બાટલા જોખમી રીતે લટકી રહ્યા હતા, જેને સ્થાનિક લોકોએ સાવચેતીપૂર્વક હટાવી મોટી હોનારત ટાળી હતી. ઘટનાની જાણ થતા ગોંડલ શહેર B ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
આ અકસ્માતના બનાવમાં રીતેષ સહની અને એક અન્ય અજાણ્યો શ્રમિક એમ બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે ચાર શ્રમિકોને ગેભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.


