જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેનું નિધન, હુમલા અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
નવી દિલ્હીઃ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે ઉપર એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા શિંજો આવેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ પોલીસે હુમલાખોરને ઝડપી લીધો છે અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નારા શહેરમાં પૂર્વ વડાપ્રધાન શિંજો આબે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. જેમાં તેમને ગંભીર ઈજા થતા સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પરંતુ તેમનું અવસાન થયું હતું. શિંજો આબે ઉપર ગોળીબાર થયો ત્યારે તેઓ એક સભાને સંબોધિત કરી રહ્યાં હતા. તેમને હ્રદયની નજીકમાં ગોળી વાગી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંબો આબે ઉપર હુમલો થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઘાત વ્યક્ત કર્યો હતો. તેમજ દુનિયાના અનેક દેશોના આગેવાનોએ સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. જાપાનના વડાપ્રધાન પણ શિંજો આબે ઉપર થયેલા હુમલાથી ભાવુક થઈ ગયા હતા. પોલીસે હુમલાખોરની ધરપકડ કરીને પૂછપરછ આરંભી છે.