1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 1લી એપ્રિલથી દસ્તાવેજ નોંધણી માટેના નિયમો બદલાશે, જાણો શું વિગતો આપવી પડશે ?
ગુજરાતમાં 1લી એપ્રિલથી દસ્તાવેજ નોંધણી માટેના નિયમો બદલાશે, જાણો શું વિગતો આપવી પડશે ?

ગુજરાતમાં 1લી એપ્રિલથી દસ્તાવેજ નોંધણી માટેના નિયમો બદલાશે, જાણો શું વિગતો આપવી પડશે ?

0
Social Share

અમદાવાદઃ દસ્તાવેજોમાં થતી છેતરપિંડીને રોકવા માટે હવે  દસ્તાવેજ તૈયાર કરનારાનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર ફરજિયાત આપવા પડશે. દસ્તાવેજ કરવા માટે બંને પક્ષકારના ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ પણ આપવા પડશે. પહેલી એપ્રિલથી રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નિયમમાં ફેરફાર કરતો પરિપત્ર નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  દસ્તાવેજ નોંધણી સમયે અત્યાર સુધી કોઇપણ દસ્તાવેજ રજૂ કરતી વ્યક્તિએ દસ્તાવેજ ઉપર પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આંગળાની છાપ લગાડવાની તેમજ નોંધણી અર્થે રજૂ થતા સ્થાવર મિલકતની તબદિલીના લેખ સંબંધમાં દરેક લખી આપનાર અને લખાવી લેનારની અંગુઠાની છાપ તથા પાસપોર્ટ  સાઇઝના ફોટા લગાડવાની જોગવાઇ કરવામાં આવી હતી. હવે આ જોગવાઇમાં જરૂરી સુધારા કરવાના હોવાથી નવી સૂચનાઓ  રાજ્યની દરેક સબ રજિસ્ટ્રાર કચેરીઓને આપવામાં આવી છે.

મહેસૂલ વિભાગ દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે અત્યાર સુધી દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબરની નોંધણી કરવામાં આવતી ન હતી પરંતુ હવે તા.1લી એપ્રિલથી દસ્તાવેજ નોધણીમાં દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર ફરજિયાત કરવામાં આવ્યા છે. આ સાથે એક ફોર્મનું ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે, જેના આધારે સમગ્ર વિગતો ભરવા તાકીદ કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે,  રાજ્ય સરકારના આ પરિપત્રની નકલ સમગ્ર રાજ્યના સબ રજિસ્ટ્રાર કચેરીઓને પહોંચાડી દેવામાં આવી છે અને તા.1લી એપ્રિલથી એટલે કે નવા નાણાંકીય વર્ષથી તેનો અમલ ફરજિયાત કરવા સુચના આપવામાં આવી છે. રાજ્યમાં સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સ્થાવર મિલકતની તબદિલી સંબંધિત નોંધણી થતા દસ્તાવેજોમાં મૂળ માલિકોને બદલે બેનામી માણસોને મિલકતના મૂળ માલિકો તરીકે રજૂ કરી બોગસ દસ્તાવેજોની નોંધણી થવાની ઘટનાઓ ધ્યાને આવી હતી. આથી આ નવા નિયમો લાગુ કરવામાં આવશે.આવા બનાવટી દસ્તાવેજો અને બોગસ દસ્તાવેજો રદ કરાવવા માટે મિલકતના મૂળ માલિકોને ન્યાયિક પ્રક્રિયાના નિવારણ માટે નાણાં અને સમયનો વ્યય થતો હતો જેથી આવા બોગસ તેમજ બનાવટી દસ્તાવેજોની નોધણીના કિસ્સા નિવારવા માટે સુધારા કરવા જરૂરી હતાં.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code