પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે.અંબાજીમાં આવેલા ગબ્બરના દર્શનને લઈને ભક્તોમાં અનોખી આસ્થા રહેલી છે. અહીં પગપાળા અને રોપ-વે દ્વારા ભક્તો ગબ્બર પર માતાજીના દર્શન માટે પહોંચતા હોય છે. પરંતુ રોપ-વેની મેઈન્ટેનન્સ કામ શરૂ કરવાનું હોવાથી આગામી 6 દિવસ માટે રોપ-વેની સેવા બંધ રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર્વત પરના રોપવે આવતીકાલથી આગામી 6 દિવસ સુધી બંધ રહેશે. ગબ્બર પર લઈ જતા રોપ-વેની મેઈન્ટનેન્સની કામગીરી કરવાની હોવાથી રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીલાક તારીખ 6 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર એમ 6 દિવસ સુધી રોપ-વેની સેવા બંધ રાખવામાં આવશે. એટલે કે આ દરમિયાન ગબ્બર પર દર્શન કરવા જવા ઈચ્છતા દર્શનાર્થીઓએ પગપાળા ગબ્બર પર ચઢવું પડશે ત્યાર બાદ આગામી 11મીથી મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ રોપ-વેની કામગીરી ફરી કાર્યરત કરવામાં આવશે.
ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી અને કોરોનાના કેસમાં સામાન્ય વધારો થતા અહીં પણ જરુરી તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. મંદિર તથા ગબ્બર પર કોઈ દર્શનાર્થી માસ્ક વગર ના ફરે તે અંગેની તકેદારીના પગલાં ભરવામાં આવી રહી છે. રાજ્યના જામનગરમાં સાઉથ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી પરત ફરેલા 72 વર્ષના વૃદ્ધ કોરોના સંક્રમિત આવતા તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં વૃદ્ધ કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું માલુમ પડ્યું છે. આમ આજે દિલ્હીમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાતા દેશમાં કુલ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 5 થઈ ગયો છે.