1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં દક્ષિણ આફ્રિકાથી પાંચ પેંગ્વિન લવાયા
અમદાવાદના સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં  દક્ષિણ આફ્રિકાથી પાંચ પેંગ્વિન લવાયા

અમદાવાદના સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં દક્ષિણ આફ્રિકાથી પાંચ પેંગ્વિન લવાયા

0
Social Share

અમદાવાદ: વિદેશના દરિયાકાંઠે અને બર્ફીલા પ્રદેશોમાં જોવા મળતાં  પેંગ્વિન પક્ષી હવે સાયન્સ સિટીના એક્વાટિક ગેલેરીમાં જોવા મળશે. દક્ષિણ આફ્રિકાના દરિયાકાંઠા વિસ્તારમાં વસતાં પાંચ પેંગ્વિનને સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં પોતાનું નવું ઘર મળ્યું હતું. જેનું ઉદ્ઘાટન રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. પેંગ્વિંનોને અમદાવાદના સાયન્સ સિટીનું વાતાવરણ અનુકૂળ આવે તે માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે.

શહેરના સાયન્સ સિટીના એક્વાટિક ગેલેરીમાં થયેલો આ નવો ઉમેરો લોકોમાં આકર્ષણ વધારશે સાથે જ સમુદ્રમાં કેટલી જૈવ વિવિધતા સચવાયેલી છે તે મુલાકાતીઓ જાણી શકશે. સામાન્ય રીતે પેંગ્વિન્સ દક્ષિણ ધ્રુવીય વિસ્તારોમાં રહે છે. એન્ટાર્કટિકાના દરિયાકાંઠા, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના કેટલાક વિસ્તારો અને ગેલાપાગોઝ સહિતના કેટલાક ટાપુઓ પર પેંગ્વિન્સ જોવા મળે છે.

સૂત્રોએ જણાવ્યુ હતું કે, શહેરના સાયન્સ સિટીની એક્વાટિક ગેલેરીમાં લાવવામાં આવેલા પેંગ્વિન દક્ષિણ આફ્રિકાના છે. આ પ્રજાતિ સામાન્ય રીતે દક્ષિણ આફ્રિકામાં જ જોવા મળે છે. જોકે, તેમને કાળજી અને યોગ્ય દેખરેખ મળે તો વિશ્વના કોઈપણ ખૂણામાં ઉછેરી શકાય છે. આફ્રિકન પેંગ્વિનની વસ્તી ઝડપથી ઘટી રહી છે અને લુપ્ત થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. 2026 સુધીમાં આફ્રિકન પેંગ્વિનની પ્રજાતિ લુપ્ત થઈ જશે તેવું અનુમાન છે.
પેંગ્વિનો માત્ર ઠંડા વાતાવરણમાં જ જીવતાં રહી શકે છે તેવી ગેરમાન્યતા પ્રવર્તે છે. આ વાત માત્ર એન્ટાર્કટિકાની પેંગ્વિનની પ્રજાતિ માટે જ સાચી છે. આફ્રિકાના પેંગ્વિન ટેમ્પરેચર ક્લાઈમેટમાં રહી શકે છે અને અહીં એક્વેરિયમ ખાતે  તેમના રહેઠાણનું તાપમાન 18 ડિગ્રી સેલ્સિઅસની આસપાસનું રાખવામાં આવ્યુ છે.

ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું, કે, આફ્રિકન પેંગ્વિનની આ પ્રજાતિ લુપ્ત થવાના આરે છે અને વિશ્વભરમાં માનવ દેખરેખ હેઠળ તેનું સંવર્ધન થઈ રહ્યું છે. સાયન્સ સિટીમાં પાંચ પેંગ્વિન લવાયા છે અને અહીં તેમનું યોગ્ય સંવર્ધન થશે તેવી આશા છે. ગુજરાતની ભાજપ સરકાર પર્યાવરણ અને કુદરતી ઈકો સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે હંમેશા કાર્યરત રહી છે અને તે દિશામાં સતત પ્રયાસ કરવામાં આવે છે. તેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા હેતુથી સાયન્સ સિટી 2.0નું લોકાર્પણ કર્યું હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code