સાબરમતી આશ્રમથી ગાંધીજીએ આત્મનિર્ભરતા અને આત્મસન્માનનો સંદેશ આપ્યો હતોઃ PM મોદી
આઝાદીના 75માં વર્ષની ઉજવણીના અવસરે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યાં છે. તેમજ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમજ વિઝિટ બુકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશો લખ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝિટ બુકમાં લખ્યું હતું કે, સાબરમતી આશ્રમમાં આવી પૂજ્ય બાપુની પ્રેરણાથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વધારે મજબુત બને છે. અહીંનું પવિત્ર વાતાવરણ, અહીંની સ્મૃતિઓથી હવે અમે એકાકાર થઈએ છીએ, જેથી સ્વભાવિક રીતે તપ અને ત્યાગની ભાવના વધી જાય છે.
સાબરમતી આશ્રમથી ગાંધીજીએ આત્મનિર્ભરતા અને આત્મસન્માનનો પણ સંદેશ આપ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ માટે અને પ્રેરણા માટે આ પુણ્ય સ્થળ પર પુનઃ આવીને ધન્ય અનુભવું છું.
આઝાદીના અમૃત મહોત્સવ, ભારતના સ્વતંત્રતા સંગ્રામને, કૃતજ્ઞ દેશવાસીઓ દ્વારા આપવામાં આવતી કાર્યાજંલી છે. આ મહોત્સવ દરમિયાન આપણી સ્વતંત્રતાના આંદોલનના દરેક પડાવ, દરેક અહમ ક્ષણને યાદ કરશે, ભવિષ્ય નિર્માણ માટે નવી ઉર્જા સાથે આગળ વધશે.
મને વિશ્વાસ છે કે, પૂજ્ય બાપુના આશીર્વાદથી આપણે ભારતવાસી આપણા કર્તવ્યોનું પાલન કરીને અમૃત મહોત્સવના ઉદેશ્યોને અવશ્ય સિદ્ધ કરશે.