ઘોઘા-હજીરા રો-પેક્સ સર્વિસ તા.24મી જુલાઈથી 10 ઓગસ્ટ સુધી બંધ રહેશે
ભાવનગરઃ ઘોઘા-હજીરા વચ્ચે ચાલતી રો-પેક્સ ફેરી સર્વિસ તા.24મી જુલાઇથી 10મી ઓગસ્ટ 2021 દરમિયાન બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વોયેજ સીમ્ફની જહાજનું વાર્ષિક મરામત કાર્ય હાથ ધરવામાં આવશે. ઘોઘા હજીરા વચ્ચે ચાલતી રો-પેક્સ ફેરી સર્વિસને સારો ટ્રાફિક મળે છે. પણ ફેરી સર્વિસ નિયમિત ન હોવાથી લોકોને ગણી મુશ્કેલી પડે છે. આ રો-પેક્સ ફેરી સર્વિસથી ભાવનગર અને સુરતનું અંતર ઘટી જાય છે. અને ઓછા સમયમાં સુરતથી ભાવનગર પહોંચી શકાય છે. સૌરાષ્ટ્રવાસીઓ માટે ખાસ કરીને ભાવનગર અને અમરેલી જિલ્લા માટે આ સેવા ખૂબ સુગમતાભરી રહે છે. હીરાના વેપારીઓ અને કારખાનેદારો પણ આ સેવાનો લાભ લઈ રહ્યા છે.
જળ પરિવહન ક્ષેત્રે સામેલ જહાજોને નિયમીત રીતે મરામત કરાવવા માટે મોકલવા પડતા હોય છે, અને સમયાંતરે તેનો સર્વે અને ઇન્સપેક્શન કરવામાં આવે છે. દરિયાઇ મુસાફરી માટે યોગ્યતા જહાજ ધરાવે છે કે કેમ તેની ચકાસણી કરાવવામાં આવે છે, અને તમામ બાબતોના એનઓસી હોય તો જ જહાજને જળ પરિવહન ક્ષેત્રે ચાલુ રાખવામાં આવે છે. વોયેજ સીમ્ફની જહાજનો વાતાનુકુલન વિભાગ છેલ્લા થોડા સમયથી સમસ્યાઓ ઉભી કરી રહ્યો હતો, અને તેના કારણે મુસાફરોને પણ અગવડતાઓ નડી રહી હતી. ઉપરાંત જહાજમાં જે નાની-મોટી મરામત કરાવવાની હોય તેના માટે હજીરા ખાતેના ડોકયાર્ડમાં તેને ડ્રાય ડોકિંગ માટે મોકલવામાં આવ્યું છે. એટલે ઘોઘા-હજીરા વચ્ચે ચાલતી રો-પેક્સ ફેરી સર્વિસ તા.24મી જુલાઇથી 10મી ઓગસ્ટ 2021 દરમિયાન બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વોયેજ સીમ્ફની જહાજનું વાર્ષિક મરામત કાર્ય હાથ ધરવામાં આવશે