વિદેશી પ્રવાસીઓને ફરવા માટે આકર્ષવામાં ગુજરાત મોખરે,જાણો વધુ વિગત
અમદાવાદ: દેશમાં ગુજરાતના વિકાસની વાત તો સમગ્ર રાજ્ય દ્વારા કરવામાં આવે છે. ગુજરાતને હંમેશા અન્ય રાજ્યોએ વિકાસ મોડલ તરીકે દર્શાવ્યું છે ત્યારે જો ફરી એક વાર ગુજરાત એ સિદ્વિ મેળવી છે જેને જાણ્યા પછી તમામ ગુજરાતીને પોતાના ગુજરાતી હોવા પર ગર્વ થશે.વાત એવી છે કે હાલમાં જ કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં જાણવા મળ્યું કે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.વર્ષ 2022માં 13 કરોડથી વધુ પર્યટકોએ ગુજરાતની મુલાકાત લીધી છે. ઇન્ડિયન ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ-2023 દ્વારા આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાત વિદેશી પ્રવાસીઓની મુલાકાતમાં પણ અવ્વલ રહ્યુ છે.
ગુજરાતના પ્રવાસન ક્ષેત્રનું યોગ્ય માર્કેટિંગ કરવામાં આવ્યુ છે. ટ્રાવેલ એક્સ્પો અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન પણ અહીં કરવામાં આવ્યુ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેક્ટરને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. સાથે જ હોટલ અને વાહનવ્યવહારની માળખાગત સુવિધામાં પણ વધારો થયો છે. જેના પગલે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધતી જઇ રહી છે. ગુજરાતમાં અનેક ઐતિહાસીક અને પ્રાચીન સ્થળો મોટી સંખ્યામાં આવેલા છે. સાથે જ ગુજરાત હેરિટેજ ક્ષેત્રે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. ગુજરાતના ઐતિહાસિક સ્થળો અને પરંપરાગત તહેવારો પણ પ્રવાસીઓને આકર્ષવા માટે મહત્વનો ફાળો આપે છે. તો અનન્ય સાંસ્કૃતિક તકોએ પ્રવાસીઓને આકર્ષ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદાનો સરદાર સરોવર ડેમ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. ચાંપાનેર-પાવાગઢ, રાણીની વાવ, સૂર્ય મંદિર, મોઢેરામાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. ઐતિહાસિક શહેર અમદાવાદ પ્રવાસીઓની પસંદ છે
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક યોગ્ય અને જરૂરી પગલા લેવામાં આવ્યા જેના કારણે હાલ વિદેશી લોકોને ભારતનો પ્રવાસ કરવાની ઈચ્છા થઈ રહી છે,આ સાથે હાલ સમગ્ર વિશ્વમાં રહેતા ભારતીયો પણ ભારતના વખાણ કરતા થાકતા નથી જેના કારણે વિદેશી લોકોના મનમાં ભારત પ્રત્યેની છવિ બદલાઈ રહી છે. આ પ્રકારના અનેક પગલાઓ અને સરકારની મહેનતના કારણે અત્યારે ભારતમાં પર્યટન ક્ષેત્રમાં પણ જોરદાર સુધારો જોવા મળી રહ્યો છે.