Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીએ જેલના કેદીઓ માટે ઈન્ટર્નશીપના નિયમો બદલ્યા

Social Share

અમદાવાદ, 31 મે, 2026 : Gujarat University changes internship rules for jail inmates નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત અંડર ગ્રેજ્યુએટ (UG) કોર્સીસના વિદ્યાર્થીઓ માટે છઠ્ઠા સેમેસ્ટરમાં ઇન્ટર્નશિપ કરવી ફરજિયાત છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જેલમાંથી એક્સ્ટર્નલ તરીકે અભ્યાસ કરતા કેદીઓ માટે નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. હવેથી જેલના કેદી વિદ્યાર્થીઓએ ઇન્ટર્નશિપ કરવા માટે જેલની બહાર જવાની જરૂર નહીં પડે, પરંતુ તેઓ જેલની અંદર જે પણ શારીરિક કે બૌદ્ધિક કામગીરી કરે છે, તેને જ યુનિવર્સિટી દ્વારા સત્તાવાર ઇન્ટર્નશિપ તરીકે ગણવામાં આવશે.

ગુજરાતમાં સાયન્સ, આર્ટસ અને કોમર્સ સહિતના તમામ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને સૈદ્ધાંતિક ભણતરની સાથે પ્રેક્ટિકલ નોલેજ મળે તે હેતુથી 2023થી નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે. આ નિયમ એક્સ્ટર્નલ તરીકે જેલમાંથી ભણતા કેદીઓને પણ લાગુ પડતો હોવાથી, તાજેતરમાં 4થી 5 કેદીઓએ ઇન્ટર્નશિપ પૂરી કરવાના બહાને જેલમાંથી બહાર આવવા માટે કોર્ટમાં જામીન અથવા વિશેષ પરવાનગી મેળવવા અરજી કરી હતી. કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટી પ્રશાસનને આ નિયમમાં તાત્કાલિક સુધારો કરવાની ફરજ પડી હતી. નવા સુધારા મુજબ, જેલ સત્તાવાળાઓ દ્વારા કેદીઓને જેલની અંદર જે પણ કામગીરી જેમ કે, રસોઈ, કમ્પ્યુટર વર્ક, લાઇબ્રેરી વ્યવસ્થાપન કે અન્ય ઉદ્યોગ સોંપવામાં આવે છે, તે જ કામગીરીના મૂલ્યાંકનના આધારે યુનિવર્સિટી દ્વારા ઇન્ટર્નશિપના જરૂરી ‘ક્રેડિટ માર્ક્સ’ આપવામાં આવશે.

આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિના છઠ્ઠા સેમેસ્ટરમાં તમામ વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ કરવાનું અનિવાર્ય પ્રાવધાન છે. સામાન્ય રીતે એક્સ્ટર્નલ કોર્સ કરતા અન્ય વિદ્યાર્થીઓ ક્યાંક નોકરી કે વ્યવસાય કરતા હોય છે, પરંતુ જેલના કેદીઓ માટે આ સ્થિતિ અલગ છે. કેદીઓએ કોર્ટમાં અપીલ કરી હતી કે, ઇન્ટર્નશિપ ફરજિયાત હોવાથી તેમને બહાર આવવાની છૂટ આપવામાં આવે. આથી, અમે નિયમ બદલીને તેમની જેલની અંદરની કામગીરીને જ ઇન્ટર્નશિપ તરીકે માન્ય રાખવાનો નિર્ણય કર્યો છે.

Exit mobile version