- હરિયાણા સરકારે ગોરખઘંઘા શબ્દ પર મૂક્યો પ્રતિબંધ
- હવે આ શબ્દનો નહી થાય પ્રયોગ
ચંદીગઢઃ- હરિયાણા સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જે અતંર્ગત ગોરખઘંઘા શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે રાજ્યમાં કોઈપણ સંદર્ભમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે નહીં. ગોરખનાથ સમુદાયે મુખ્યમંત્રી મનોહર લાલને મળીને અને આ શબ્દના ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. બુધવારે, સમુદાયની માંગ પર, સરકારે આ સંદર્ભમાં આદેશ જારી કર્યો છે.
આ મામલાને લઈને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે કહ્યું કે અનૈતિક પ્રથાઓ માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ‘ગોરખઘંઘા’ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગોરખનાથ સમુદાયના પ્રતિનિધિ મંડળને મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રતિનિધિમંડળે આ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાની વિનંતી કરી હતી.
રાજ્યમાં ગુરુ ગોરખનાથના ઘણા અનુયાયીઓ છે. આ શબ્દના ઉપયોગથી તેમની લાગણીઓને ઠેસ પહોંચવા નહીં દઈએ. સરકારનું કામ દરેક લોકો અને સમૂદાયની ભાવનાઓનું સન્માન કરવાનું છે. મુખ્યનમંત્રીએ કહ્યું કે જ્યારે પણ કોઈ પણ સમુદાયે રાજ્યમાં કોઈ પણ નામ કે શબ્દ સામે વાંધો ઉઠાવ્યો હોય, ત્યારે સરકારે તેને બદલી નાખ્યો હોય છે અથવા તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હોય છે
આ શબ્દ બાબતે પ્રતિનિધિમંડળે કહ્યું કે શબ્દના નકારાત્મક અર્થથી સંત ગોરખનાથના અનુયાયીઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુરુ ગોરખનાથ એક સંત હતા. કોઈપણ સત્તાવાર ભાષા, ભાષણ અથવા કોઈપણ સંદર્ભમાં આ શબ્દનો ઉપયોગ તેના અનુયાયીઓની લાગણીઓને ઠેસ પહોંચાડે છે, તેથી હવે તેનો ઉપયોગ રાજ્યમાં સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવશે.