રાંચી, 13 ઓગસ્ટ 2026: ઝારખંડમાં જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓની સીબીઆઈ તપાસની માંગને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન ગુરુવારે 20મા દિવસે પણ અવિરતપણે ચાલુ રહ્યું છે. આંદોલનકારી વિદ્યાર્થીઓ પોતાની માંગણીઓ પર અડગ રહીને ધરણા સ્થળ પર છે, જ્યારે લાંબી ભૂખ હડતાલના કારણે કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, આ મુશ્કેલીઓ છતાં વિદ્યાર્થીઓનો નિર્ધાર અકબંધ જોવા મળ્યો છે.
વિદ્યાર્થીઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ અંગે કોઈ નક્કર નિર્ણય નહીં લેવાય, ત્યાં સુધી આંદોલન સમાપ્ત નહીં થાય. લાંબા સમયથી ચાલી રહેલી ભૂખ હડતાલના કારણે અનેક વિદ્યાર્થીઓની તબિયત નાજુક બનતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ભેગા કરવા પડ્યા છે. તેમ છતાં અન્ય સહયોગી વિદ્યાર્થીઓ ધરણા સ્થળે મક્કમતાથી ઊભા રહીને પોતાની માંગણીઓ મક્કમતાથી રજુ કરી રહ્યાં છે.
વિદ્યાર્થીઓના સતત ઉગ્ર બનતા આંદોલનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા અત્યંત સખત કરી દેવામાં આવી છે. ધરણા સ્થળથી અંદાજે અઢી કિલોમીટર દૂર આવેલા મુખ્યમંત્રી આવાસની સુરક્ષામાં ભારે વધારો કરાયો છે. મુખ્યમંત્રી આવાસની આસપાસ બે કિલોમીટરના વિસ્તારમાં વિવિધ સ્થળોએ મજબૂત બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. પ્રદર્શનકારીઓ મુખ્યમંત્રી આવાસ તરફ આગળ ન વધી શકે તે માટે મુખ્ય માર્ગો પર વધારાના પોલીસ કાફલાને તૈનાત કરવામાં આવ્યો છે.
કાંકે તરફ જતા માર્ગો પર ટ્રાફિકજામ
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને બેરિકેડિંગની સીધી અસર રાંચીની ટ્રાફિક વ્યવસ્થા પર જોવા મળી રહી છે. કાંકે તરફ જનારા મુખ્ય રસ્તાઓ પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. અનેક સ્થળોએ વાહનો ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય જનતા અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ વિદ્યાર્થીઓના વિધાનસભા માર્ચ દરમિયાન પણ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ અને તણાવની સ્થિતિ સર્જાઈ હતી.
વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓમાં જેપીએસસી અને જેએસએસસીની પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓની નિષ્પક્ષ સીબીઆઈ તપાસ કરાવવી અને સમગ્ર ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે સુધારા કરવા સામેલ છે.

