Site icon Revoi.in

ઉત્તરાખંડમાં ભારે વરસાદનો કહેર યથાવત, દેહરાદૂનમાં 13 લોકોના મોત

Social Share

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આજે બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. આંધ્રપ્રદેશના અલગ અલગ સ્થળોએ આજે જોરદાર પવન ફૂંકાય તેવી શક્યતા છે.ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી, દેહરાદૂનમાં 13 લોકોના મોત થયા છે. ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદને કારણે રાજધાની દહેરાદૂન સહિત રાજ્યના ઘણા ભાગોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ચોમાસાના વરસાદને કારણે, ઉત્તરાખંડમાં ભારે વિનાશ થઈ રહ્યો છે. ઉત્તરાખંડમાં આવેલી આ દુર્ઘટનામાં 15 લોકોના મૃત્યુ થયા છે. આમાંથી મોટાભાગના મૃત્યુ દહેરાદૂનમાં થયા છે. દહેરાદૂનમાં અલગ-અલગ સ્થળોએ થયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મૃત્યુ થયા છે. 15થી વધુ લોકો ગુમ છે અને અનેક ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત, નૈનિતાલ અને ઉધમ સિંહ નગરમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

અત્યાર સુધીમાં, દહેરાદૂનમાં 400થી વધુ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. NDRF અને SDRFની સંયુક્ત ટીમો અહીં સતત બચાવ કામગીરી ચલાવી રહી છે. સૌથી વધુ મૃત્યુ દહેરાદૂનના પ્રેમનગર વિસ્તારમાં થયા છે. અહીં આસન નદીમાં લગભગ 15 મજૂરો વહી ગયા હતા. SDRF એ આઠ મૃતદેહ બહાર કાઢ્યા છે. SDRF દ્વારા બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને પાંચ હજુ પણ ગુમ છે.

મળતી માહિતી મુજબ, આ બધા લોકો નદીમાં ખાણકામ કરવા ગયા હતા, પરંતુ નદીમાં પાણી વધારે હોવાથી, આ બધા લોકો તણાઈ ગયા. નોંધનીય છે કે, સહસ્ત્રધારાની ખીણોમાં પ્રકોપની જેમ વરસાદ વરસી રહ્યો છે. માલદેવતામાં સોંગ નદીમાં પણ પૂર આવ્યું છે. નદીએ દહેરાદૂન, માલદેવતા અને ટિહરી જતો રસ્તો તણાઈ ગયો છે.

10-15 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે સોંગ નદી આટલા વિકરાળ સ્વરૂપમાં જોવા મળી રહી છે. તે જ સમયે, SDRF, NDRF અને જાહેર બાંધકામ વિભાગની ટીમો સહસ્ત્રધારામાં JCB અને અન્ય જરૂરી સાધનો સાથે રાહત કાર્યમાં રોકાયેલી છે.

Exit mobile version