
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની મહામારીમાં 3 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનો કોંગ્રેસ દાવો કરી રહી છે. ત્યારે રાજ્ય સરકાર કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારોને 4 લાખની સહાય ચૂકવે તેવી પ્રબળ માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ આ મુદ્દાને ચૂંટણી ઢંઢેરા તરીકે એજન્ડામાં સામેલ કરશે. જો આ વખતે 2022 માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટ બેઠકમાં જ કોંગ્રેસ દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારને 4 લાખની સહાય આપશે તેમ કોંગ્રેસના દંડક સી જે ચાવડાએ જણાવ્યું હતુ.
ગુજરાત કોંગ્રેસના દેડક સીજે ચાવડા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની સાચી સંખ્યા વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કરી છે તેમ છતાં એ ગુજરાત સરકાર મૃતકોનો સાચો આંકડો આપતી નથી આ તબક્કે કે તેમણે કહ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરેલા રિસર્ચ અને સર્વે બાદ ભારતમાં 47 લાખથી વધુ લોકોના મૃત્યુ થયાનો ચોંકાવનારો આંકડો બહાર આવ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અપીલ છે કે, ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખ લોકોના મૃત્યુ થયા છે ત્યારે તેમના પરિવારજનોને ભારત સરકારે ચાર લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ.
તેમણે ગુજરાતની ભાજપ સરકાર ઉપર આક્ષેપ કર્યો હતો કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ સાચા આંકડા જાહેર કર્યા હોવા છતાં પણ ગુજરાત સરકાર હજુ દસ હજાર લોકોના મૃત્યુ થયાનું કબૂલી રહી છે પરંતુ હકીકતમાં કોરોના કાળમાં આ સરકાર વેન્ટિલેટર, આઇસીયું, ઑક્સિજન,બેડ, ઇન્જેક્શન સહિતની સારવાર સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હતી એટલું જ નહીં મૃતકના પરિવારને 4 લાખની સહાય ચૂકવવા માટે પણ સરકાર તૈયાર નહીં હોવાનો દાવો કર્યો હતો આ તબક્કે તેમણે કહ્યું હતું કે એક તરફ સરકાર દસ હજાર લોકોના મૃત્યુ થયાનું બતાવે છે તો બીજી તરફ અંદાજિત 25 હજારથી વધુ અરજીઓ મૃતકોના પરિવારજનોની આવી છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાનો રિપોર્ટ માન્ય રાખીને સરકારે સહાય ચૂકવી જોઈએ એવી અપીલ કરી હતી,
કોંગ્રેસના દંડક ડો. સી જે ચાવડા એ સરકાર પર આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળથી સરકાર મૃતકોના આંકડા છુપાવી રહી છે એટલું જ નહીં ગુજરાતમાં કોંગ્રેસે કરાવેલા સર્વે મુજબ ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખથી વધુના મૃત્યુ થયાનું બહાર આવ્યું છે સામે 1.50 લાખથી વધુ અરજીઓ થઈ હોવાનો દાવો કર્યો હતો. કોરોનામાં જે પરિવારના બાળકોએ પોતાના માતા અને પિતા ગુમાવ્યા છે તેવી 20 હજારથી વધુ અરજીઓ આવી છે એટલે કે 40 હજાર તો માત્ર મા-બાપ ગુમાવનારા બાળકો છે. તેમ છતાં સરકાર હજુ સાચી હકીકતો જાહેરકરતી નથી. ચાવડાએ ઉમેર્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટ બેઠકમાં જ કોરોના થી મૃત્યુ પામેલા પરિવારજનો ને અમારી સરકાર 4 લાખની સહાય તાત્કાલિક આપવાની જાહેરાત કરશે અને આ મુદ્દો આગામી ચૂંટણી ઢંઢેરામાં પણ એજન્ડા ઉપર રહેશે તેવી સ્પષ્ટ વાત કરી હતી.