25 વર્ષમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે મારા પર ભ્રષ્ટાચારનો કોઈ દાગ નથી લાગ્યોઃ PM મોદી
પલામુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે તેમની સરકારના સર્જિકલ અને હવાઈ હુમલાએ પાકિસ્તાનને એટલું હચમચાવી દીધું છે કે પડોશી દેશના નેતાઓ હવે દુઆ કરી રહ્યા છે કે કોંગ્રેસના ‘રાજકુમાર’ ભારતના વડા પ્રધાન બને. પલામુમાં એક ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના નિશાન આકરા પ્રહાર કર્યાં હતા, અને કહ્યું કે ભલે પાડોશી દેશ તેમને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે, પરંતુ ભારત એક મજબૂત વડાપ્રધાન સાથે મજબૂત દેશ ઈચ્છે છે.
તેમણે વધુમાં કહ્યું કે, “ભારત માતાનું અપમાન હવે સહન કરવામાં આવશે નહીં. નવા ભારતના ‘સર્જિકલ અને એર સ્ટ્રાઈક્સ’એ પાકિસ્તાનને હચમચાવી નાખ્યું હતું જે કોંગ્રેસના શાસન દરમિયાન ભારત પર આતંકવાદી હુમલાઓને સમર્થન આપવા માટે જાણીતું હતું. મોદીએ કહ્યું, “નવું ભારત જાણે છે કે દુશ્મનના વિસ્તારમાં કેવી રીતે પ્રવેશ કરવો અને હુમલો કરવો… સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકથી હચમચી ગયેલા પાકિસ્તાનના નેતાઓ દુઆ કરી રહ્યા છે કે કોંગ્રેસના રાજકુમાર દેશના વડાપ્રધાન બને.”
તેમણે મતદારોને મતના મહત્વને ઓળખવા વિનંતી કરી હતી.500 વર્ષોના સંઘર્ષ બાદ રામ મંદિરનું નિર્માણ થયું છે એટલું જ નહીં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ ભાજપા સરકારે કરી છે. મોદીએ એમ પણ કહ્યું કે તેઓ મુસ્લિમોને અનામત આપવા માટે બંધારણ બદલવાની કોંગ્રેસની કોઈપણ યોજનાને સફળ થવા દેશે નહીં. તેમણે કહ્યું, “છેલ્લા 25 વર્ષમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે મારા પર ભ્રષ્ટાચારનો કોઈ દાગ નથી લાગ્યો. “મારી પાસે ન તો ઘર છે કે ન તો સાયકલ… પરંતુ ભ્રષ્ટ જેએમએમ અને કોંગ્રેસના નેતાઓએ તેમના બાળકો માટે અપાર સંપત્તિ બનાવી છે.”