ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી જમીનો પર પશુપાલકોએ ઢોરવાડા બનાવી દીધા છે. જાહેર રસ્તાઓ પર પણ દાબાણો કરીને ઠેર ઠેર ઢોરવાડા બનાવી ગાયો ભેંસોનાં તબેલા ઉભા કરી દેવામાં આવ્યા હતા. જેનાં પગલે મ્યુનિ કોર્પોરેશન (જીએમસી)ની ટીમે શહેરના કુડાસણ, સેક્ટર – 13, સેકટર – 29 વિસ્તારના 5 ઢોરવાડા દૂર કરીને 1 હજાર વાર સરકારી જમીનને દબાણ મુકત કરવામાં આવી હતી.
જીએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરને રખડતાં પશુઓથી મુકત કરાવવા માટે મ્યુનિ.એ ઢોર નિયંત્રણ પોલીસીને મંજૂરી આપી પશુપાલકો સામે કડક નિયમો ઘડી કાઢવામાં આવ્યા છે. જેની અમલવારી કરાવવા માટે ટૂંકાગાળામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શહેરના ઘણાબધા વિસ્તારોમાં પશુ પાલકોએ સરકારી જમીન ઉપર કબ્જો જમાવી ઢોરવાડા ઉભા કરી દીધા છે. જાહેર રોડની સાઈડ પર તેમજ સરકારની માલિકીની ખૂલ્લી જગ્યાઓ પર બેરોકટોક ઢોરવાડા બનાવી દેવામાં આવ્યા છે.
ગુજરાત હાઇકોર્ટે રખડતાં ઢોર મામલે આકરું વલણ અપનાવતા રાજયની તમામ મ્યુનિ.કોર્પોરેશન અને નગરપાલિકાના સત્તાધિશો દ્વારા રખડતા ઢોર સામે કડક કાર્યવાહીની ફરજ પડી રહી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સીએનસીડી તથા એસ્ટેટ શાખા દ્વારા સરકારી જમીન પર થયેલા ઢોરવાડાના દબાણ દૂર કરવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જે અન્વયે ગુરૂવારે એક હજાર વાર જમીન પર ઊભા થઈ ગયેલા પાંચ ઢોરવાડાનાં દબાણો કરીને 71 જેટલા પશુઓને હટાવવામાં આવ્યા હતા. જે પૈકી કુડાસણ વિસ્તારમાં એક ઢોરવાડામાં 36 પશુઓ મળી આવ્યા હતા. એજ રીતે સેકટર – 13 વિસ્તારમાં 13 ઢોરવાડામાં 20 પશુઓ, સેકટર – 29 ના એક ઢોર વાડામાં 15 પશુઓ બાંધીને કરોડોની જમીન ઉપર કબજો જમાવી લેવામાં આવ્યો હતો. આ પાંચેય ઢોરવાડા દૂર કરીને મ્યુનિ. દ્વારા જમીન દબાણ મુક્ત કરી પશુ પાલકોને અલ્ટીમેટમ પણ આપી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પણ ઢોરવાડા દૂર કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.