ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચઃ અમદાવાદ સ્ટેડિયમમાં ઓફલાઈન ટિકીટનું થશે વેચાણ
અમદાવાદઃ ચેન્નાઈમાં રમાયેલી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમનો વિજય થયો હતો. હવે ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં રમાશે. કોરોનાનું સંક્રમણ ઘટતા મેચ નિહાળવા માટે દર્શકોને મંજૂરી આપવામાં આવી છે. હાલ ઓનલાઈન ટિકીટનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ તા. 20મી ફેબ્રુઆરીથી સ્ટેડિયમના બોક્સ ઓફિસમાંથી ટિકીટ મેળવીને મેચની મજા માણી શકશે.
એક લાખ કરતા વધારે દર્શકોની ક્ષમતા ધરાવતા અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં તા. 24મી ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ મેચને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોનાની ગાઈડલાઈન અનુસાર દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. મોટેરામાં સ્ટેડિયમનું નિર્માણ કરાયાં બાદ આ પ્રથમ ટેસ્ટ મેચ છે. જેથી ક્રિકેટ પ્રેમીઓમાં પણ દુનિયાના સૌથી મોટા મનાતા મોટેરા સ્ટેડિયમમાં બેસીને ટેસ્ટ નીહાળવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો મોટી સંખ્યામાં ઓનલાઈન ટિકીટ બુકીંગ કરાવી રહ્યાં છે. દર્શકોને સ્ટેડિયમથી ઓફલાઈન ટિકીટ મળી રહે તેવુ પણ આયોજન કરવામાં આવ્યું છે. તા. 20મી ફેબ્રુઆરીથી ક્રિકેટ પ્રેમીઓને સ્ટેડિયમથી ઓફલાઈન ટિકીટ મળી રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. જો કે, ઈગ્લેન્ડ વિરુદ્ધ આવતી ટી-20 સીરીઝની દરેક મેચ અમદાવાદનાં આ સ્ટેડિયમમાં રમાશે.