
ભારતીયો ભોજનમાં મીઠાનું વધુ કરી રહ્યાં છે સેવન, શહેરી વિસ્તારમાં લોકો ખાય છે બમણુ મીઠું
ભોજનનો સ્વાદ વધારવા માટે લોકો મીઠાનો ઉપયોગ કરે છે. જો કે, ભારતમાં મીઠાનો વધુ પડતો ઉપયોગ એક મોટી સમસ્યા બની ગયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી (ICMR-NIE) ના વૈજ્ઞાનિકોના મતે, વધુ મીઠુ ખાવાના કારણે લોકો હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હૃદય રોગ અને કિડનીની સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે. આ સમસ્યાને ઘટાડવા માટે, વૈજ્ઞાનિકોએ એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. તેઓ ઓછા સોડિયમવાળા મીઠાના ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યા છે.
મીઠા પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં મોટાભાગના લોકો જરૂરિયાત કરતાં વધુ મીઠુ ખાઈ રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર, સારા સ્વાસ્થ્યને જાળવવા માટે વ્યક્તિએ દરરોજ 5 ગ્રામથી ઓછું નમક ખાવું જોઈએ. જોકે, ભારતના શહેરી વિસ્તારોમાં લોકો દરરોજ લગભગ 9.2 ગ્રામ નમક ખાઈ રહ્યા છે, જે ડૉકટરો દ્વારા સૂચવેલ માત્રા કરતા લગભગ બમણું છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ, લોકો દરરોજ સરેરાશ 5.6 ગ્રામ નમક ખાઈ રહ્યા છે, જે હજુ પણ સલામત મર્યાદા કરતાં વધુ છે. આટલી વધુ પડતી માત્રામાં નમક ખાવું એ આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે.
વધુ પડતા મીઠાના સેવનથી અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, આ માટે વૈજ્ઞાનિકોએ એક સમુદાય-આધારિત કાર્યક્રમ શરૂ કર્યો છે જેનો હેતુ લોકોને તેમના રોજિંદા આહારમાં નમકનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરવાનો છે. આ પહેલ હેઠળ લોકોને સોડિયમ ઓછું હોય તેવા મીઠાનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. આ પ્રકારના મીઠાને લો સોડિયમ સોલ્ટ કહેવામાં આવે છે. આમાં, પોટેશિયમ અથવા મેગ્નેશિયમ જેવા ખનિજોથી મીઠાની થોડી માત્રા બદલવામાં આવે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમજ તે હૃદય માટે સ્વસ્થ માનવામાં આવે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી (NIE) ના ડૉક્ટર કહે છે કે લો સોડિયમ સોલ્ટનો ઉપયોગ કરવા જેવો નાનો ફેરફાર પણ સ્વાસ્થ્યમાં ઘણો સુધારો લાવી શકે છે. તે બ્લડ પ્રેશરને લગભગ 7/4 mmHg ઘટાડી શકે છે, જે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લો સોડિયમ સોલ્ટનો ઉપયોગ માત્ર બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે પરંતુ હૃદયના સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે, જે હાઈ બ્લડ પ્રેશર (હાયપરટેન્શન) થી પીડિત લોકો માટે ખૂબ ફાયદાકારક બનાવે છે.