ઓમિક્રોન વેરિએન્ટને લઇને WHOએ ફરી ચિંતા વ્યક્ત કરી – મૃત્યુદરમાં થઇ શકે છે વધારો, સતર્ક રહેવાની જરૂર
- ઓમિક્રોન વેરિએન્ટને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચિંતા વ્યક્ત કરી
- કહ્યું – આગામી સમયમાં આ વેરિએન્ટથી મૃત્યુદર વધી શકે છે
- હોસ્પિટલમાં દર્દીનો ભરાવો થઇ શકે છે
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટનો ફફડાટ ફેલાયો છે. અનેક દેશોમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. તેને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ચિંતાજનક વાત કહી છે. સંગઠને ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ નવા વેરિએન્ટને કારણે હોસ્પિટલમાં દર્દીઓ વધી શકે છે તેમજ મૃત્યુદર પણ વધે તેવી શક્યતા છે.
WHOએ ચિંતા વ્યક્ત કરી હતી કે, વૈશ્વિક સ્તર પર વેરિએન્ટ ઑફ કન્સર્ન સાથે જોડાયેલ કેસની સંખ્યા વધવાને કારણે અમને લાગે છે કે હોસ્પિટલો ભરવા અને મોતની સંખ્યા વધી શકે છે. નવા વેરિએન્ટથી સંક્રમિત લોકોની સ્થિતિની સારી રીતે અંદાજ લગાવવા વધુ જાણકારીની જરૂર છે.
વૈશ્વિક સ્વાસ્થ્ય એજન્સીએ સલાહ આપી હતી કે નવા વેરિએન્ટનો મહામારી પર એક મોટો પ્રભાવ પડી શકે છે. તેમણે તે પણ કહ્યું હતું કે હાલ તેને લઈને કંઈપણ પુષ્ટિ કરવી ઉતાવળ ગણાશે. નવો વેરિએન્ટ અત્યાર સુધી 60થી વધુ દેશોમાં ફેલાયો છે.
બીજી તરફ કેનેડામાં ઓમિક્રોન વેરિએન્ટનો કમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયો છે. દેશના મુખ્ય જન સ્વાસ્થ્ય અધિકારી થેરેસા તામોએ તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, અમે કમ્યુનિટી ટ્રાન્સમિશન જોઈ રહ્યાં છીએ. સંભવતઃ તેની શરૂઆત થઈ છે, પરંતુ આવનારા દિવસોમાં તેમાં તેજી જોવા મળી શકે છે.