ઓકલેન્ડ, 09 જુલાઈ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે શુક્રવારે ન્યૂઝીલેન્ડ પહોંચવાના છે. જોકે, તેમના આગમન પહેલાં જ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
ભારતીય બજારમાં ન્યૂઝીલેન્ડની વસ્તુઓની પહોંચ વધારવા માટે, ક્રિસ્ટોફર લક્સને ગુરુવારે જાહેરાત કરી હતી કે પ્રથમ દિવસથી જ 57 ટકા નિકાસ જકાત-મુક્ત રહેશે.
ક્રિસ્ટોફર લક્સને ભારત-ન્યુઝીલેન્ડ વેપાર કરારની પ્રશંસા કરી અને જણાવ્યું કે તેનાથી નોંધપાત્ર લાભ થશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર તેમણે લખ્યું, “ભારત સાથેનો અમારો વેપાર કરાર ન્યુઝીલેન્ડના વ્યવસાયોને વેગ આપશે. ભારતને કરવામાં આવતી અમારી નિકાસનો ૫૭ ટકા હિસ્સો પ્રથમ દિવસથી જ જકાત-મુક્ત રહેશે.”
લક્સને વડાપ્રધાન મોદીને ન્યુઝીલેન્ડની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું છે. વડાપ્રધાન મોદી 10 અને 11 જુલાઈએ બે દિવસીય રાજકીય મુલાકાત (સ્ટેટ વિઝિટ) માટે ન્યુઝીલેન્ડ પહોંચશે. વડાપ્રધાનની મુલાકાતની ઠીક પહેલાં કરવામાં આવેલી આ જાહેરાતને ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ગાઢ મિત્રતા અને મજબૂત વ્યાપારી સંબંધોના પ્રતિબિંબ તરીકે જોવામાં આવી રહી છે.
ન્યૂઝીલેન્ડની તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદી અને લક્સન વિવિધ મુદ્દાઓ પર દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જેમાં વેપાર, વાણિજ્ય અને સંરક્ષણ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આ મુલાકાત દરમિયાન, પીએમ મોદી અગ્રણી વ્યવસાયિક અને રમતગમત હસ્તીઓ સાથે પણ મુલાકાત કરશે અને ન્યુઝીલેન્ડમાં રહેતા ભારતીય સમુદાયને સંબોધિત કરશે. પીએમ મોદી હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે, અને ન્યુઝીલેન્ડ તેમના ત્રણ દેશોના પ્રવાસનો અંતિમ તબક્કો છે.
વધુ વાંચો: જયપુરમાં એક બેકાબૂ ટ્રેલરની અડફેટે આવવાથી પિતા અને ત્રણ પુત્રોના મોત


