
- પુરતી સુવિધા નહીં હોવાથી કરાયો આદેશ
- પોલીસ કમિશનરે કર્યો હુકમ
- અધિકારી-કર્મચારીઓને તકેદારી રાખવા સૂચના
અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ સૌથી વધારે હોય તેમ દરરોજ મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ પોલીસ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. કોરોનાને પગલે હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ નહીં હોવાથી કેટલાક પોલીસ સ્ટેશનોમાં જ પોલીસ કર્મચારીઓ માટે આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યાં હતા. જો કે, પુરતી સુવિધાઓ નહીં હોવાથી તેને બંધ કરવા પોલીસ કમિશનરે આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે અમદાવાદ શહેરમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ પોલીસ પણ કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય તે માટે સતત કામગીરી કરી રહી છે. દરમિયાન કેટલાક પોલીસ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. જેની શહેર પોલીસ કમિશનરે ગંભીર નોંધ લીધી છે. તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં ફરજ દરમિયાન યોગ્ય તકેદારી રાખવા પોલીસ અધિકારીઓને અને કર્મચારીઓને સૂચના આપી હતી. તેમજ રામોલ અને કાલુપુર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા આઇસોલેશન વોર્ડ તાત્કાલિક અસરથી બંધ કરી દેવા આદેશ કર્યો હતો. આ આઇસોલેશન વોર્ડમાં 24 કલાક ડોક્ટરની વ્યવસ્થા પણ નહીં હોવાથી તે બંધ કરી દેવા આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી અને લોકડાઉનમાં પોલીસે કરેલી કામગીરીની રાજ્ય સરકારે પણ નોંધ લીધી હતી. તેમજ આ કોરોના વોરિયર્સ માટે કોરોના રસીકરણ પણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં અમદાવાદમાં 400થી વધારે પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાં છે.