નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન બારામુલાના પટ્ટન વિસ્તારમાંથી સુરક્ષા એજન્સીઓએ બે આતંકવાદીઓને મોતના સામાન સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ બંને આતંકવાદીઓ જેશ-એ-મહંમદના આતંકવાદી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર બારામુલાના પટ્ટન વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની માહિતીના આધારે સુરક્ષા એજન્સીઓ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમદના બે ત્રાસવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. તેમની પાસેથી પિસ્તોલ, ચીની ગ્રેનેડ તથા અન્ય વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. જેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ તેમને આશરો આપનારાઓને ઝડપી લેવા માટે પણ કવાયત શરૂ કરવામાં આવી છે.
દરમિયાન પુલવામા જિલ્લાના પહુ વિસ્તારમાં સુરક્ષા જવાનોએ એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી કમાન્ડન્ટ આરિફ ઉર્ફે રેહાન સહિત 3 આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. તેમજ બે એકે સિરીઝની રાઈફલ અને પિસ્તોલ ઝડપી લેવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. ચાર દિવસમાં ચાર સ્થળો ઉપર એન્કાઉન્ટરમાં સુરક્ષા એજન્સીઓએ 11 જેટલા આતંકીઓને ઠાર માર્યાં હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર થયા બાદ આતંકવાદી બનાવોમાં ઘટાડો થયાના દાવા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે ત્રાસવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં રોજગારની શોધમાં આવેલા બિન કાશ્મીરીઓને ટાર્ગેટ બનાવી રહ્યાં છે. જેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.