1. Home
  2. ગુજરાતી
  3. કર્પુરી બાબુએ સામાજિક ન્યાય માટે કરેલા પ્રયાસોથી કરોડો લોકોના જીવનમાં મોટો બદલાવ આવ્યો: PM મોદી
કર્પુરી બાબુએ સામાજિક ન્યાય માટે કરેલા પ્રયાસોથી કરોડો લોકોના જીવનમાં મોટો બદલાવ આવ્યો: PM મોદી

કર્પુરી બાબુએ સામાજિક ન્યાય માટે કરેલા પ્રયાસોથી કરોડો લોકોના જીવનમાં મોટો બદલાવ આવ્યો: PM મોદી

0
Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લોગ ઉપર લખ્યું છે કે, ઘણા લોકોના વ્યક્તિત્વનો આપણા જીવન પર પ્રભાવ પડે છે. આપણે જે લોકોને મળીએ છીએ અને જેમના સંપર્કમાં રહીએ છીએ તેમની વાતોનો પ્રભાત પડવો સ્વાભાવિક છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમના વિશે સાંભળીને જ તમે પ્રભાવિત થઈ જાવ છો. જનનાયક કર્પૂરી ઠાકુર મારા માટે આવા રહ્યા છે.

કર્પૂરી બાબુની 100મી જન્મજયંતિ છે. મને કર્પૂરીજીને મળવાની ક્યારેય તક મળી નથી, પરંતુ મેં તેમની સાથે ખૂબ નજીકથી કામ કરતા કૈલાશપતિ મિશ્રાજી પાસેથી તેમના વિશે ઘણું સાંભળ્યું છે. કર્પુરી બાબુએ સામાજિક ન્યાય માટે કરેલા પ્રયાસોથી કરોડો લોકોના જીવનમાં મોટો બદલાવ આવ્યો. તે વાળંદ સમુદાયના હતા, એટલે કે સમાજનો સૌથી પછાત વર્ગ. અનેક પડકારોને પાર કરીને તેમણે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી અને જીવનભર સમાજના ઉત્થાન માટે કામ કરતા રહ્યા.
જનનાયક કર્પૂરી ઠાકુરજીનું સમગ્ર જીવન સાદગી અને સામાજિક ન્યાય માટે સમર્પિત હતું. તેમના અંતિમ શ્વાસ સુધી તેઓ તેમની સાદી જીવનશૈલી અને નમ્ર સ્વભાવના કારણે સામાન્ય લોકો સાથે ઊંડે સુધી જોડાયેલા રહ્યા. તેમની સાથે જોડાયેલી આવી ઘણી વાર્તાઓ છે, જે તેમની સાદગીનું ઉદાહરણ પુરુ પાડે છે.

તેમની સાથે કામ કરનારા લોકોને યાદ છે કે, કેવી રીતે તેમણે આગ્રહ કર્યો હતો કે સરકારી નાણાંનો એક પણ પૈસો તેમના કોઈપણ અંગત કામમાં ન વાપરવો જોઈએ. બિહારમાં તેમના સીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન આવી જ એક ઘટના બની હતી. તે પછી રાજ્યના નેતાઓ માટે વસાહત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ તેઓએ પોતાના માટે કોઈ જમીન લીધી નહીં. જ્યારે પણ તેમને પૂછવામાં આવતું કે, તમે જમીન કેમ નથી લેતા, ત્યારે તેઓ નમ્રતાથી હાથ જોડી દેતા હતા. 1988માં જ્યારે તેમનું અવસાન થયું ત્યારે ઘણા નેતાઓ તેમના ગામમાં શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. કર્પૂરીજીના ઘરની હાલત જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે તેઓ વિચારતા હતા કે આટલા મોટા હોદ્દા પર બિરાજમાન વ્યક્તિનું આટલું સાદું ઘર કેવી રીતે હોઈ શકે.

કર્પૂરી બાબુની સાદગીની બીજી લોકપ્રિય વાર્તા 1977ની છે, જ્યારે તેઓ બિહારના સીએમ બન્યા હતા. તે સમયે કેન્દ્ર અને બિહારમાં જનતાની સરકાર હતી. તે સમયે પટનામાં જનતા પાર્ટીના નેતા લોકનાયક જયપ્રકાશ નારાયણ એટલે કે જેપીના જન્મદિવસ માટે ઘણા નેતાઓ એકઠા થયા હતા. તેમાં સામેલ મુખ્યમંત્રી કર્પૂરી બાબુનો કુર્તો ફાટી ગયો હતો. આવી સ્થિતિમાં, ચંદ્રશેખરજીએ તેમની અનોખી શૈલીમાં લોકોને કેટલાક પૈસા દાન કરવાની અપીલ કરી, જેથી કર્પૂરીજી નવો કુર્તો ખરીદી શકે. જો કે, કર્પૂરી જી તો કર્પૂરી જી હતા. તેમણે આમાં પણ એક દાખલો બેસાડ્યો. તેમણે પૈસા સ્વીકાર્યા, પરંતુ તેને મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરી દીધા હતા.

સામાજીક ન્યાય તો જનનાયક કર્પૂરી ઠાકુરજીના મનમાં વસેલો હતો. તેમની રાજકીય કારકિર્દી એવા સમાજના નિર્માણ માટેના તેમના પ્રયાસો માટે જાણીતી છે જ્યાં સંસાધનો સમાનરૂપે વિતરિત કરવામાં આવે અને સામાજિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના તમામ લોકો માટે તકો ઉપલબ્ધ હોય. તેમના પ્રયાસોનો ઉદ્દેશ્ય ભારતીય સમાજમાં રહેલી ઘણી અસમાનતાઓને દૂર કરવાનો પણ હતો.

પોતાના આદર્શો માટે કર્પૂરી ઠાકુરજીની પ્રતિબદ્ધતા એવી હતી કે, તે સમયગાળા દરમિયાન પણ જ્યારે કોંગ્રેસ સર્વત્ર સત્તામાં હતી, તેમણે કોંગ્રેસ વિરોધી રેખાને અનુસરવાનું નક્કી કર્યું. કારણ કે તેમને ઘણા સમય પહેલા ખ્યાલ આવી ગયો હતો કે કોંગ્રેસ તેના મૂળભૂત સિદ્ધાંતોથી ભટકી ગઈ છે.

કર્પૂરી ઠાકુરજીની ચૂંટણી યાત્રા 1950ના દાયકાની શરૂઆતમાં શરૂ થઈ હતી અને અહીંથી જ તેઓ રાજ્ય ગૃહમાં શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા હતા. તેઓ મજૂર વર્ગ, નાના ખેડૂતો અને યુવાનોના સંઘર્ષ માટે એક શક્તિશાળી અવાજ બન્યા. શિક્ષણ એક એવો વિષય હતો જે કર્પુરીજીના હૃદયની સૌથી નજીક હતો. તેમની સમગ્ર રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે ગરીબોને શિક્ષણ આપવામાં કોઈ કસર છોડી ન હતી. તેઓ સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ આપવાના મોટા હિમાયતી હતા, જેથી ગામડાઓ અને નાના શહેરોના લોકો પણ સારું શિક્ષણ મેળવે અને સફળતાની સીડીઓ ચઢે. મુખ્યપ્રધાન રહીને તેમણે વૃદ્ધ નાગરિકોના કલ્યાણ માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં પણ લીધા હતા.

Democracy, Debate અને Discussion તો કર્પુરી જીના વ્યક્તિત્વનો અભિન્ન અંગ હતા. લોકશાહી પ્રત્યેનું તેમનું સમર્પણ ભારત છોડો ચળવળ દરમિયાન દેખાઈ આવ્યું હતું, જેમાં તેમણે પોતાની જાતને સમર્પિત કરી હતી. તેમણે દેશ પર બળજબરીથી લાદવામાં આવેલી ઈમરજન્સીનો પણ જોરદાર વિરોધ કર્યો હતો. જે.પી., ડૉ. લોહિયા અને ચરણ સિંહજી જેવી હસ્તીઓ પણ તેમનાથી ખૂબ પ્રભાવિત હતી.

જનનાયક કર્પૂરી ઠાકુરજીએ સમાજના પછાત અને વંચિત વર્ગોને સશક્ત બનાવવા માટે એક નક્કર કાર્ય યોજના બનાવી હતી. આ માટે યોગ્ય રીતે આગળ વધે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી. આ તેમનું સૌથી અગ્રણી યોગદાન છે. તેમણે આશા વ્યક્ત કરી કે એક દિવસ આ વર્ગોને પણ તેઓ લાયક પ્રતિનિધિત્વ અને તકો આપવામાં આવશે. જો કે તેના પગલાનો ઘણો વિરોધ થયો હતો, પરંતુ તે કોઈપણ દબાણને વશ થયો ન હતો. તેમના નેતૃત્વ હેઠળ, નીતિઓ અમલમાં મૂકવામાં આવી હતી જેણે એક સમાવિષ્ટ સમાજનો મજબૂત પાયો નાખ્યો હતો જ્યાં વ્યક્તિનો જન્મ વ્યક્તિનું ભાગ્ય નક્કી કરતું નથી. તેઓ સમાજના સૌથી પછાત વર્ગના હતા, પરંતુ તેમણે તમામ વર્ગો માટે કામ કર્યું હતું. તેમના મનમાં કોઈના પ્રત્યે કડવાશનો અંશ પણ નહોતો અને આ જ તેમને મહાનતાની શ્રેણીમાં લાવે છે.

અમારી સરકાર જનનેતા કર્પૂરી ઠાકુરજી પાસેથી પ્રેરણા લઈને સતત કામ કરી રહી છે. આ અમારી નીતિઓ અને યોજનાઓમાં પણ પ્રતિબિંબિત થાય છે, જેણે સમગ્ર દેશમાં સકારાત્મક ફેરફારો કર્યા છે. ભારતીય રાજનીતિની સૌથી મોટી દુર્ઘટના એ હતી કે કર્પૂરીજી જેવા કેટલાક નેતાઓને બાદ કરતાં સામાજિક ન્યાયની વાત માત્ર રાજકીય સૂત્ર બની ગઈ હતી. કર્પુરીજીના વિઝનથી પ્રેરિત થઈને, અમે તેને અસરકારક ગવર્નન્સ મોડલ તરીકે અમલમાં મૂક્યું. હું વિશ્વાસ અને ગર્વ સાથે કહી શકું છું કે, આજે ભારતના 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાની સિદ્ધિ પર જનનાયક કર્પુરીજીને ચોક્કસપણે ગર્વ થશે.

આજે અમે સંતૃપ્તિ માટે પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી 100 ટકા લાભાર્થીઓને દરેક યોજનાનો લાભ મળે. આ દિશામાં અમારા પ્રયાસો સામાજિક ન્યાય પ્રત્યે સરકારના સંકલ્પને દર્શાવે છે. આજે જ્યારે OBC, SC અને ST સમુદાયના લોકો મુદ્રા લોન દ્વારા ઉદ્યોગસાહસિક બની રહ્યા છે, ત્યારે તે કર્પૂરી ઠાકુરજીના આર્થિક સ્વતંત્રતાના સપનાને સાકાર કરી રહી છે. તેવી જ રીતે, અમારી સરકાર છે જેણે SC, ST અને OBC અનામતનો વિસ્તાર કર્યો છે. અમને OBC કમિશનની સ્થાપના કરવાની તક પણ મળી (દુઃખની વાત છે કે કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો), જે કર્પૂરીજીના બતાવેલા માર્ગ પર કામ કરી રહ્યું છે. થોડા સમય પહેલા શરૂ કરવામાં આવેલી પીએમ-વિશ્વકર્મા યોજના દેશના ઓબીસી સમુદાયના કરોડો લોકો માટે સમૃદ્ધિના નવા રસ્તાઓ પણ બનાવશે.

પછાત વર્ગના વ્યક્તિ તરીકે, મેં જનનાયક કર્પૂરી ઠાકુરજીના જીવનમાંથી ઘણું શીખ્યું છે. મારા જેવા ઘણા લોકોના જીવનમાં કર્પુરી બાબુનું પ્રત્યક્ષ અને પરોક્ષ યોગદાન રહ્યું છે. આ માટે હું હંમેશા તેમનો આભારી રહીશ. કમનસીબે, અમે કર્પૂરી ઠાકુરજીને 64 વર્ષની વયે ગુમાવ્યા. જ્યારે દેશને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે અમે તેને ગુમાવ્યો હતો. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ જન કલ્યાણ માટેના તેમના કાર્યને કારણે તેઓ કરોડો દેશવાસીઓના દિલોદિમાગમાં જીવંત છે. તેઓ સાચા જન નેતા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code