પાલનપુર, 23 એપ્રિલ 2026: Lawyers on strike for 7 days against shifting of court શહેરના જોરાવર પેલેસ સંકુલમાં આવેલી જિલ્લા કોર્ટને જગાણા ખસેડવાના વિરોધમાં છેલ્લા એક સપ્તાહથી વકીલો હડતાળ પર ઉતર્યા છે. બાર એસોસિએશનના 900થી વધુ વકીલો ધરણા પર ઉતરીને ગમે તે ભોગે પાલનપુરની કોર્ટને જગાણા ન ખસેડવા સરકાર પર દબાણ વધાર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી હાઇકોર્ટથી જુદા જુદા સિનિયર એડવોકેટ આવીને વકીલોની લડતને સમર્થન આપી રહ્યા છે. અગાઉ જે જિલ્લામાં કોર્ટ બદલાવાથી મુશ્કેલીઓ ઊભી થઈ તેવી મુશ્કેલી પાલનપુરમાં ન થાય તેનું પણ માર્ગદર્શન આપી રહ્યા છે.
પાલનપુરમાં આવેલી કોર્ટોને જોરાવર પેલેસથી જગાણા ખસેડવાની કવાયત સામે વકીલ આલમમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ નિર્ણયના વિરોધમાં પાલનપુર બાર એસોસિએશન દ્વારા કોર્ટ સંકુલમાં ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પાલનપુર બાર એસોસિએશન છેલ્લા ઘણા સમયથી આ કોર્ટોને અન્ય જગ્યાએ ન ખસેડવા અને જોરાવર પેલેસમાં જ રાખવાની માંગ કરી રહ્યું છે. જોકે, તંત્ર દ્વારા આ માંગણી સ્વીકારવામાં ન આવતા વકીલોમાં રોષ જોવા મળ્યો છે.
પાલનપુર બાર એસોસિએશનના પ્રકાશભાઈ એ જણાવ્યું કે પાલનપુર જોરાવર પેલેસ સંકુલમાં જુદી જુદી 14થી વધુ કોર્ટ આવેલી છે. જેમાં હાલ વકીલોની ગેરહાજરીમાં કેસો ન ચાલવાના લીધે પ્રતિ દિન 200થી વધુ કેસોને અસર થઈ રહી છે અને તારીખો પડી રહી છે. અમે આ મુદ્દાને લઇ હાઇકોર્ટમાં પણ ધ્યાન દોર્યું છે. એસો.ના પ્રમુખ ભાવેશભાઈ રાવલે જણાવ્યું હતું કે આ સમગ્ર પાલનપુર શહેરનો મુદ્દો છે.

