Site icon Revoi.in

મેંગલુરુમાં ત્રણ બાળકોની હત્યા અને પત્નીની હત્યાનો પ્રયાસ કરનારને કોર્ટે મૃત્યુદંડની સજા ફરમાવી

Social Share

બેંગ્લોરઃ મેંગલુરુની સ્થાનિક કોર્ટે એક વ્યક્તિને મૃત્યુદંડની સજા ફટકારી છે. આરોપીને તેના ત્રણ બાળકોની હત્યા અને તેની પત્નીને કૂવામાં ધક્કો મારીને મારી નાખવાની કોશિશ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. આ ઘટનાને જિલ્લા અને સત્ર અદાલતના ન્યાયાધીશ સંધ્યાએ હિતેશ શેટ્ટીગરને જઘન્ય ગણાવીને આરોપીને હત્યાકાંડ મામલે મૃત્યુદંડની સજા ફટકારી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 23 જૂન, 2022ના રોજ પદમનુર ગામમાં બની હતી. આરોપીએ કથિત રીતે તેના ત્રણ બાળકોને કૂવામાં ધકેલી દીધા હતા, જેના કારણે તેમનું મોત થયું હતું. તેણે તેની પત્ની લક્ષ્મીને પણ આ જ કૂવામાં ધક્કો મારીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી બેરોજગાર હતો અને તેની પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હતો. ઘટનાના દિવસે, પરસ્પર નારાજગીના કારણે, તેણે ગુનો આચરતા પહેલા તેના બાળકો શાળાએથી પાછા ફરે તેની રાહ જોતો હતો. જ્યારે મહિલાએ મદદ માટે બૂમો પાડી ત્યારે નજીકમાં કામ કરતા ફૂલ વિક્રેતાએ તેની ચીસો સાંભળી અને કૂવામાં ચઢીને તેને બચાવી લીધી હતી. તપાસ દરમિયાન મોટી પુત્રીએ કુવામાં લગાવેલા પંપના પાઈપ સાથે ચોંટીને પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. જોકે, આરોપીએ છરી વડે પાઇપ કાપી નાંખી હતી, જેથી તે ભાગી ન શકે.

ફરિયાદના આધારે મુલ્કી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ઈન્સ્પેક્ટર કુસુમાધરાની આગેવાની હેઠળ તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન ફરિયાદી મોહન કુમારે મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. આનાથી આરોપીનો ગુનો સાબિત કરવામાં ઘણી મદદ મળી હતી. આ પછી, કોર્ટ એવા નિષ્કર્ષ પર આવી કે બાળકોની ઘાતકી હત્યા અને તેની પત્નીની હત્યાના પ્રયાસ માટે માત્ર મહત્તમ સજા થવી જોઈએ.

Exit mobile version