
કોરોનાના ભયને લીધે સૌરાષ્ટ્રના અનેક નાના-મોટા શહેરોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યા
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરે લોકોને ડરાવી દીધા છે. અને ઘણાબધા શહેરો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. જુદા જુદા વેપારી મંડળો, માર્કેટ યાર્ડસ, પણ લોકડાઉનમાં જોડાયા છે. અનેક તાલુકા અને નાના શહેરો તથા ગામડાઓએ સેલ્ફ લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓએ આ પહેલ કરી છે. જેમાં ગીર ગઢડાએ તો 11 દિવસના લાકડાઉનની જાહેરાત કરી છે.
ગીર સોમનાથના ઊનામાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. કોડીનાર અને તાલાલામાં પણ આજથી લોકડાઉન રહેશે. ગીરગઢડામાં આજે બપોરે 1 વાગ્યા બાદ 11 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. તલાલામાં 5 દિવસનું સંપૂર્ણ લોકડાઉન રહેશે. કોડીનારમાં 3 દિવસનું સંપૂર્ણ લોકડાઉન રહેશે. રાજકોટ કોરોનાનો કહેર વ્યાપી ગયો છે. ત્યારે દાણાપીઠના વેપારીઓએ નિર્ણય કર્યો છે કે, આજે બપોરથી 18 તારીખ સુધી દુકાનો સ્વૈચ્છિક લોકડાઉન પાળશે. 250 જેટલી દુકાનો આજે ત્રણ વાગ્યાથી બંધ કરવામાં આવશે.
અમરેલીના ધારીનું આંબરડી સફારી પાર્ક આગામી 3 થી 4 દિવસ બંધ રહેશે. ગઈ કાલે ટિકીટ બુકીંગ કરતા ક્લાર્કનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી આજે સંપર્કમાં આવેલા તમામ કર્મીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાઈ સેમ્પલ મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવ્યા બાદ આગળનો નિર્ણય કરાશે, પરંતુ હાલ આંબરડી પાર્ક મુસાફરો માટે બંધ કરાયો છે. ભાવનગર જિલ્લાના પાલિતાણામાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. નગરપાલિકા, વેપારી એસોસિએશન, મામલતદાર અને પોલીસની સંયુક્ત બેઠક મળી હતી. આ સંયુક્ત મળેલી બેઠકમાં લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. પાલિતાણા શહેરમાં પણ વિકેન્ડ લોકડાઉન જાહેર કરાયું છે. શહેરમાં શુક્ર, શનિ અને રવિવારે સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. તો ભાવનગર માર્કેટયાર્ડ 16 એપ્રિલથી બંધ કરાયું છે. માત્ર લીંબુ અને શાકભાજીની હરાજી ચાલુ રહેશે.
કોરોના સંક્રમણ વધતા માર્કેટયાર્ડ દ્વારા આ નિર્ણય કરાયો છે કે, 16 એપ્રિલથી માર્કેટયાર્ડમાં હરાજી બંધ થશે. બીજી સૂચના ના મળે ત્યાં સુધી તમામ હરાજી બંધ રહેશે. અમરેલીના વડિયા ગ્રામ પંચાયતે કોરોનાનું સંક્રમણ વધતા વેપારીઓની મીટિંગ મળી હતી. મીટિંગમા આગેવાનો દ્વારા આ નિર્ણય લેવાયો છે કે, ગુરુ, શુક્ર અને શનિવાર સુધી વેપાર ધંધા શરૂ રહેશે. લોકડાઉનની અમલવારી ન કરનાર પાસેથી ગ્રામપંચાયત 1000 રૂપિયાનો દંડ વસૂલશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. 8 દિવસ બાદ પરિસ્થિતિને આધીન ફરી આગેવાનો દ્વારા વેપારીઓની મીટિંગ યોજાશે.