Site icon Revoi.in

અમદાવાદમાં સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનમાં મોટાભાગના કોર્પોરેટરો ન જોડાયા

Social Share

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીના કાઠે બન્ને સાઈડ રિવરફ્રન્ટ બનાવીને વાસણા બેરેજ સુધી નર્મદાનું પાણી ભરવામાં આવે છે. જેના લીધે સાબરમતી નદી બન્ને કાંઠે ભરાયેલી રહે છે. નદીમાં પાણી ભરાયેલું રહેતુ હોવાથી એમાં કાંપ અને કચરો પણ ઠલવાતો હતો, દરમિયાન વાસણા બેરેજના દરવાજા મરામત કરવાના હોવાથી તેમજ નદીમાં માટીનો રેમ્પ બનાવવાનો હોવાથી નદીમાંથી પાણી ખાલી કરવામાં આવ્યું છે ત્યારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમાતી નદીને સ્વચ્છ બનાવવા અભિયાન આદરવામાં આવ્યું છે. નદીની સાફ સફાઈ ઝૂંબેશ દરમિયાન પ્લાસ્ટિકનો કચરો. તેમજ માળા- ફુલો, ભગવાનના ફોટાઓ, વગેરે મોટા પ્રમાણમાં વેસ્ટ મળતા તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. સ્વચ્છતા અભિયાનમાં મ્યુનિ.કમિશનર, મેયર પ્રતિભા જૈન અને ધારાસભ્યો સહિત ભાજપના પદાધિકારીઓ દ્વારા નદીમાં ઉતરીને સફાઈ કરવામાં આવી હતી. જોકે આશ્વર્યની વાત એ હતી કે સ્વચ્છતા અભિયાનમાં મોટાભાગના કોર્પોરેટરો જોવા મળ્યા નહતા.

અમદાવાદની સાબરમતી નદીમાં એક દિવસના સ્વચ્છતા અભિયાનમાં નદીમાંથી કચરો એકત્ર કરી શકાય એવી સ્થિતિ નથી. કારણ કે મેગા ઝૂંબેશ ચલાવવામાં આવે તો નદીમાંથી કચરો હટાવી શકાય તેમ છે. આજે યોજાયેલા સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનમાં  મેયરે હાથમાં ગ્લવઝ તેમજ મોંઢે માસ્ક બાંધીને હાથમાં પાવડો લઈને સફાઈ કરી હતી. મ્યુનિ. કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના નેતાઓ પણ જોડાયા હતા. નદીમાં લોકો દ્વારા નાખવામાં આવેલી ધજાઓને બહાર કાઢી હતી. નદીમાંથી ખૂબ જ કચરો, પ્લાસ્ટિક, ભગવાનના ફોટા, ધજાઓ, માળાઓ, ફૂલો, પથ્થરો સહિતની ચીજવસ્તુઓ નીકળી છે. આ સફાઈ અભિયાનમાં જાણે કે કોર્પોરેટરોને કોઈ રસ ન હોય તેમ કોઈ ફરક્યા જ નહીં. ભાજપના 160માંથી માત્ર 25-30 કોર્પોરેટરો જ અભિયાનમાં જોડાયા હતા.

એએમસીના સૂત્રોના કહેવા મુજબ શહેરના સાબરમતી ગાંધીઆશ્રમની પાછળના ભાગે રિવરફ્રન્ટ પર સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનમાં આજે સવારથી વિવિધ સંસ્થાઓ સફાઈ અભિયાનમાં જોડાઈ હતી. 25થી વધુ સંસ્થાઓના કાર્યકર્તાઓ દ્વારા સફાઈ કરવામાં આવી છે. સફાઈ કરનારા લોકોને મોઢે માસ્ક, હાથમાં ગ્લવઝ અને કચરો ભરવા માટેની થેલી આપવામાં આવી હતી. વિવિધ સંસ્થાના 500થી વધારે લોકોએ હાથમાં પાવડો લઈ નદીની સફાઈ કરી હતી. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને તરફ સાફ-સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. નદીના પટમાં જ્યાં પાણી નથી તેવા સ્થળ પર સફાઈ કરવામાં આવી રહી છે.

આ અંગે મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે સાબરમતી નદીના સ્વચ્છતા અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી છે. નદીને સાફ રાખવી આપણી જવાબદારી છે. વિવિધ સામાજિક સંસ્થાઓની સાથે મળી કુલ પાંચ તબક્કામાં સફાઈ કરવામાં આવશે. આગામી પાંચ જૂન સુધી નદીમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. નદીમાં રહેલો કચરો દૂર કરવામાં આવશે. નદીમાં ગટરના ગંદા પાણી છોડવા મામલે તેઓએ જણાવ્યું હતું કે જે પણ જગ્યાએ નદીના ગંદા પાણી આવી રહ્યા છે તેને બંધ કરવા માટેની પ્રક્રિયા કરવામાં આવી છે.