નર્મદાઃ કેવડિયા જંગલ સફારીની બે વર્ષના સમયગાળામાં 8.37 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત
અમદાવાદઃ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે. અહીં 2 વર્ષ પહેલાં કેવડિયા જંગલ સફારીની પણ શરુઆત કરવામાં આવી હતી. આ જંગલ સફારીને પણ પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને લાખોની સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત કરી છે. દરમિયાન બે વર્ષના સમયગાળામાં 8.37 લાખ પ્રવાસીઓએ જંગલ સફારી પાર્કની મુલાકાત લીધી હોવાનું જાણવા મળે છે.
વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહીલે પ્રશ્ન પૂછ્યો હતો કે, કેવાડીયા જંગલ સફારીમાં છેલ્લા બે વર્ષમાં કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી અને વર્ષવાર કેટલી આવક થઈ છે. પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું છે કે, છેલ્લા 2 વર્ષમાં 8,37,478 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે અને કેમેરા અને ટિકિટની આવક રુ. 15,73,53,080 થઈ છે. 18-02-2020માં જંગલ સફારી ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ 2020માં 18-02-2020 થી 31-12-2020 સુધી 1,25,805 મુલાકાતીઓએ મુલાકાત લીધી. અને 2021ના વર્ષમાં 31-01-2021થી 31-12-2021 સુધીમાં 7,11,673 પ્રવાસીઓએ મુલાકાત કરી હતી આમ બે વર્ષમાં કુલ 8,37,478 પ્રવાસીઓ જંગલ સફારીની મુલાકાતે આવ્યા હતા.
18-02-2020 થી 31-12-2020 દરમ્યાન ટિકિટથી આવક રૂ. 2,24,22,930 થઈ અને કેમેરાથી આવક રૂ. 3,16,545 થઈ હતી. આ સાથે વર્ષ 2021માં ટીકીટથી આવક 13,23,38,225 રુપિયા અને કેમેરાથી આવક 22,75,380 રુપિયા થઈ હતી. આમ બે વર્ષ દરમ્યાન કેમેરા અને ટિકિટથી થયેલી કુલ રુપિયા 15,73,53,080ની આવક થઈ છે.