વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠની સાર્ધ શતાબ્દી નિમિત્તે સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું
અમદાવાદ, 2 જૂન 2026 – નિબંધકાર, અનુવાદક, ચરિત્રકાર વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠની સાર્ધ શતાબ્દી નિમિત્તે શહેરમાં ગઈકાલે સોમવારે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થયું હતું. ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘સા વિદ્યા’ શીર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમ મિલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે યોજાયો હતો.
કાર્યક્રમના આયોજક ઓમ કૉમ્યુનિકેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ‘સા વિદ્યા’ અંતર્ગત વિદ્યાગૌરી નીલકંઠના જીવન વિશે પ્રો. વૈશાલી ધોળકિયાએ અને વિદ્યાગૌરી નીલકંઠની સામાજિક પ્રતિબદ્ધતા વિશે રોહિણી પટેલે તથા વિદ્યાગૌરી નીલકંઠનું સાહિત્યસર્જન વિશે પદ્મશ્રી પુરસ્કૃત સાહિત્યકાર કુમારપાળ દેસાઈએ મનનીય વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે નીલકંઠ પરિવારના પરિવારજનો, સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમાજમાતાનું બિરુદ
વિદ્યાગૌરી નીલકંઠના જીવન વિશે બોલતાં પ્રો. વૈશાલી ધોળકિયાએ કહ્યું હતું કે, સમાજમાતાનું બિરુદ મળ્યું એવા વિદ્યાબહેન નીલકંઠ આ વ્યક્તિથી સમસ્તીની યાત્રા એટલે એમનું સમગ્ર જીવન. રમણભાઈ નીલકંઠ અને વિદ્યાબહેન નીલકંઠના સાયુજ્યએ ગુજરાતમાં સ્ત્રી કેળવણી, શિક્ષણ, સામાજિક સેવાના ક્ષેત્રોમાં પાયાના પથ્થરની ગરજ સારી. આ દંપતી ના હોત તો ગુજરાતમાં ખાસ કરીને સ્રી કેળવણીનો ઈતિહાસ 50 વર્ષ મોડો લખાયો હોત. પોતાના જીવનનું ધ્યેય વિદ્યાબહેનને મન સ્રીઓનું સશક્તિકરણ અને ઉન્નતિ હતાં. જે છોકરીઓને જ્ઞાતિ બહાર લગ્ન કરવા હોય, જે વિધવાઓને પુનર્લગ્ન કરવાં હોય, જે સ્રીઓને પતિ અને સાસરિયાંઓ સતાવતા હોય તે સહુ વિદ્યાબહેન પાસે સલાહ અને મદદ માટે આવતાં. કીર્તિ કે પદની કોઈ કામના વિના માત્ર હાર્દિક નિસ્બતને લીધે તેઓ આવી મદદ કરતાં. પરંતુ, તેમનું કેન્દ્રવર્તી લક્ષ્ય હતું સ્રી કેળવણી.
સામાજિક પ્રતિબદ્ધતા
જ્યારે રોહણી પટેલે કહ્યું કે, વિદ્યાબહેનને સામાજિક પ્રતિબદ્ધતા તો ગળથૂથીમાંથી મળી હતી. કારણ, એમનો જન્મ અને ઉછેર રા. બા. ભોલાનાથ સારાભાઈ જેવા સમાજસુધારકને ઘરે થયો હતો. રમણભાઈ સાથે એમનું લગ્ન થયું એટલે જાણે સોનામાં સુગંધ ભળી. વિદ્યાબ્બહેને વિદ્યાસભા સંસ્થાનું સુકાન દાયકાઓ સુધી સંભાળ્યું હતું. અમદાવાદની તેમ જ ગુજરાતની અનેક સ્ત્રી કેળવણી સંસ્થાઓ, મહિલા મંડળો, નિશાળો, પુસ્તકાલયોને ઉત્તમ સેવા અને માર્ગદર્શન આપ્યાં. સ્ત્રીઓ માટે ભણતરની બારી ખોલી, અને જીવવા માટે નવી કેડી દર્શાવી. આમ, એમણે પોતાનું જીવન સાર્થક કર્યું.
નેતૃત્વ સ્ત્રીઓને સોંપીએ તો…
સુપ્રસિદ્ધ સાહિત્યકાર પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ તેમના મનનીય વક્તવ્યમાં જણાવ્યું કે, વર્તમાન યુગમાં નેતૃત્વ સ્ત્રીઓને સોંપીએ તો યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય નહીં. વિદ્યાબહેને યુદ્ધ જેવા વિષય પર નારીકુંજ નામથી નિબંધ લખ્યો. નારીકુંજ, ફોરમ અને જ્ઞાનસુધા વિદ્યાબહેનના મહત્ત્વનાં સાહિત્યિક પુસ્તકો છે. ગૃહદિપીકા એમનું પ્રથમ પુસ્તક છે. જે 1931માં પ્રકટ થયું. જે બહેનો શાળા છોડી દેતી એમની ચિંતા વ્યક્ત કરતું પુસ્તક ગૃહાદિપીકા છે.


