પાકિસ્તાનના ખૈબર પખતૂનખ્વાનામાં સુરક્ષાદળના કાફલામાં આત્મધાતી હુમલો, નવ જવાનના મોત
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ખૈબર પખતૂનખ્વાના ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે. માલી ખેલ વિસ્તારમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 9 સૈનિકોના મોત તથા અન્ય 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર મોટર બાઈક પર સવાર આત્મઘાતી બોમ્બ ધારકે સુરક્ષાબળોના કાફિલાને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. બોમ્બ ધારકે પાકિસ્તાનના બન્નૂ જિલ્લામાં ખુદને બોમ્બથી ઉડાવી દીધો હતો. પાકિસ્તાનના કેરટેકર વડા પ્રધાન અનવારુલ હક કાકરે આતંકવાદી હુમલાની નિંદા કરી અને સૈનિકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. કાકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ખૈબર પખ્તુનખ્વાના બન્નુ ડિવિઝનમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં નવ બહાદુર સૈનિકોના મોત આઘાતજનક છે.”
અત્યાર સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી. જો કે, તેમાં પાકિસ્તાની તાલિબાનોનો હાથ હોવાની શંકા છે, જેણે 2022 થી સુરક્ષા દળો પર હુમલામાં વધારો કર્યો છે. પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે તાલિબાનોએ સત્તા સંભાળ્યા બાદ અફઘાનિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રય બની ગયું છે. અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ છૂટથી ફરી રહ્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર બન્નુ જિલ્લો ઉત્તર વઝીરિસ્તાનની નજીક છે, જે આતંકવાદીઓનો ગઢ રહ્યો છે. પાક સેનાએ થોડા વર્ષો પહેલા જાહેરાત કરી હતી કે તેણે આ વિસ્તારને સ્થાનિક અને વિદેશી આતંકવાદીઓથી સાફ કરી દીધો છે. જો કે અવાર-નવાર આતંકવાદી હુમલાઓ થતા રહે છે. પ્રદેશમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના પુનરુત્થાનથી પાકિસ્તાન સરકારની ચિંતા વધી છે. પાકિસ્તાને પોતાના દેશમાં આતંકવાદીઓને આશરો આપીને ભારતને પરેશાન કરવા માટે અનેક કાવતરા ધડ્યાં છે, પરંતું આતંકવાદીઓ હવે પાકિસ્તાનમાં જ આર્મી અને સ્થાનિક નાગરિકોને નિશાન બનાવી રહ્યાં છે.