NEET-UG વિરોધ પ્રદર્શન કેસોમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિને નહીં મળે રાહત
નવી દિલ્હી, 30 જુલાઈ 2026: દેશભરમાં ચર્ચાસ્પદ બનેલી નીટ-યુજી પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને અનિયમિતતાઓને લઈને દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનો અને આંદોલનોને લઈને દિલ્હી સરકારે એક મોટો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. સરકારે જાહેરાત કરી છે કે આ આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા પોલીસ કેસોમાં હવે કોઈ પણ પ્રકારની પ્રતિકૂળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો કે, આ રાહત માત્ર સામાન્ય વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ માટે છે, જ્યારે ગંભીર આપરાધિક પૃષ્ઠભૂમિ ધરાવતા વ્યક્તિઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
ઉપલબ્ધ સત્તાવાર માહિતી અનુસાર, ગત 29 જુલાઈ 2026 સુધી દિલ્હી પોલીસ દ્વારા આ વિરોધ પ્રદર્શનો સંદર્ભે કુલ 13 એફઆઈઆર નોંધવામાં આવી હતી. સરકારના નવા આદેશ અનુસાર, આ પ્રદર્શનો દરમિયાન જે વિદ્યાર્થીઓ કે નાગરિકોની અગાઉ ધરપકડ કરવામાં આવી છે અથવા જેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, તે તમામના કેસોની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરવામાં આવશે. સમીક્ષા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ તેમની જેલમાંથી મુક્તિ માટેની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. દિલ્હી સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ સમગ્ર મામલાને હવે કોઈ પણ આગળની દંડત્મક કાર્યવાહી વિના બંધ માનવામાં આવશે.
દિલ્હી સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય સર્વોચ્ચ અદાલતના તાજેતરના આદેશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. દિલ્હીના ઉપરાજ્યપાલની સત્તાવાર મંજૂરી મળ્યા બાદ ગૃહ વિભાગ દ્વારા આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો છે. જો કે, કાનૂની જોગવાઈ મુજબ જે લોકોનો અગાઉથી જ ફોજદારી કે ગુનાહિત રેકોર્ડ રહ્યો છે, તેમને આ મુક્તિનો લાભ મળશે નહીં અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ તેમના પર કાયદાકીય પ્રક્રિયા ચાલુ રહેશે. દિલ્હી વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ આંદોલનમાં ભાગ લેનાર સામાન્ય નાગરિકો કે વિદ્યાર્થીઓ વિરુદ્ધ ભવિષ્યમાં કોઈ નવી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. સરકારના આ નિર્ણયથી આંદોલન સાથે સંકળાયેલા હજારો યુવાનો અને તેમના પરિવારોને મોટી રાહત મળી છે.


