ભૂજ, 10 મે 2026: NTCA gives green signal for leopard re-introduction કચ્છમાં ઘાસિયા મેદાન તરીકે ઓળખાતા બન્ની વિસ્તારમાં ચિત્તાના પુનઃવસવાટ માટે છેલ્લા અઢી વર્ષથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઑથોરિટી(NTCA)એ બન્નીમાં ચિત્તાઓને ટ્રાન્સલોકેટ કરવાની લીલી ઝંડી આપી છે. આગામી જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં 4 ચિત્તાઓને ટ્રાન્સલોકેટ કરવાની શક્યતા છે.
કચ્છમાં બન્ની વિસ્તારમાં વર્ષો પહેલા ચિત્તાનો વસવાટ હતો. પણ કાળક્રમે ચિત્તા નાશ પામ્યા, કચ્છનો બન્ની વિસ્તાર એવો છે કે, ચિત્તાના વસવાટ માટે સાનુકૂળ છે. થોડા મહિના પહેલા જ આ વિસ્તારમાં હરણનો વસવાટ શરૂ કરાયો છે. હવે ચિત્તાનો વસવાટ શરૂ કરવામાં આવશે. કેન્યાથી ચિત્તા લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ તબક્કે બે નર અને બે માદા ચિત્તા લાવવામાં આવશે. આમ, વર્ષ દરમિયાન કુલ 12 ચિત્તા લવાશે શરૂઆતમાં ચિત્તાઓને એક મહિના સુધી ક્વોરન્ટાઈનમાં રાખ્યા બાદ બન્નીના સંરક્ષિત વિસ્તારોમાં છોડી દેવાશે.
વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ કચ્છના બન્નીમાં ચિત્તાના પુનર્વસન માટે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2024થી બન્નીના ઘાસિયા મેદાનમાં પાંચસો હેક્ટરથી વધુ વિશાળ જમીનમાં 20 કરોડના ખર્ચે ચિત્તાના આવાસ વિહાર માટે અનુકૂળ અભયારણ્ય તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં બન્નીના ભગાડિયા અને આસપાસના વિસ્તારોમાં દસેક કિલોમીટર લાંબી કાંટાળી વાડથી સજ્જ સંરક્ષિત ખુલ્લું અભયારણ્ય વિકસાવાયું છે. આ પ્રોજેક્ટ હેઠળ બન્નીમાં પાણીના પોઈન્ટ, કૃત્રિમ શેડ, ચિત્તા માટે ખાસ ટેકરા વાળો વિસ્તારો સહિત ચિત્તાના શિકાર અને આહાર માટે ચિંકારા બ્રિડિંગ સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેના માટે અત્યાર સુધીમાં 14.70 કરોડનો ખર્ચ થયો છે. ભારતમાં વર્ષ 1952માં ચિત્તાને વિલુપ્ત પ્રજાતિ તરીકે જાહેર કરાયેલા. કચ્છમાં છેલ્લે 1839 અને 1872માં ચિત્તા વિચરતાં હોવાના પ્રમાણો જણાય છે. છેલ્લે 1940માં ગુજરાતના વિસાવદરમાં ચિત્તો દેખાયો હતો.

