રાજકોટ, 15 એપ્રિલ 2026: Nyari Dam filled to overflowing with Narmada water શહેરમાં દર ઉનાળામાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતી હોય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષથી સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી શહેરના આજી અને ન્યારી ડેમને નર્મદાના પાણીથી ભરી દેતા શહેરીજનોને ઉનાળા દરમિયાન પણ પુરતુ પાણી મળી રહે છે. એટલે નર્મદા યોજના રોજકોટ માટે જીવાદોરી સમાન બની છે. આજી-1 ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરી દેવાયા બાદ હવે ન્યારી-1 ડેમને પણ નર્મદાના નીરથી ભરી દેવામાં આવ્યો છે. તેથી ચોમાસા સુધી રાજકાટવાસીઓને પુરતુ પાણઈ મળી રહેશે.
રાજકોટ શહેરમાં તાપમાનનો પારે 42 ડિગ્રીને વટાવી ગયો છે. ગરમી વધતા પાણીના વપરાશમાં પણ વધારો થયો છે. ત્યારે ચોમાસા સુધી શહેરીજનોને પુરતુ પાણી મળી રહે તે માટેનું આયોજન કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી વરદાન સાબિત થયેલી ‘સૌની’ યોજનાને કારણે શહેરના મુખ્ય જળસ્ત્રોતો એવા આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવતા હાલ જળસંકટના વાદળો વિખેરાઈ ગયા છે. આગામી ચોમાસા સુધી ચાલે તેટલો પર્યાપ્ત જળનો જથ્થો ઉપલબ્ધ છે. તાજેતરમાં જ આજી-1 ડેમને નર્મદાના નીરથી 100 ટકા ભરી દીધા બાદ પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ન્યારી-1 ડેમમાં પણ સતત પાણીની આવક ચાલુ રાખવામાં આવી હતી. ન્યારી-1 ડેમની સપાટી હાલ 23 ફૂટ સુધી પહોંચી ગઈ છે, એટલે કે આ જળાશય 80 ટકા જેટલું ભરાઈ ગયું હોવાથી ત્યાં પણ નર્મદાના નીરની આવક હાલ બંધ કરાઈ છે. વર્તમાન સ્થિતિએ આજી-1 ડેમમાં 90 ટકાથી વધુ અને ન્યારી-1માં 80 ટકા જેટલો જથ્થો છે. આ ઉપરાંત, શહેરની ત્રીજી જીવાદોરી સમાન ભાદર-1 ડેમમાં પણ ચોમાસા સુધી ચાલે તેટલું પીવાનું પાણી ઉપલબ્ધ છે. જો ભવિષ્યમાં જરૂર જણાય અને રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા માગ કરવામાં આવશે, તો તુરંત જ ‘સૌની’ યોજના હેઠળ જળાશયોમાં ફરીથી પાણી ઠાલવવાની તૈયારી રાખવામાં આવી છે. આમ, રાજકોટવાસીઓને હવે ઉનાળામાં પીવાના પાણી બાબતે કોઈ મુશ્કેલી રહેશે નહીં.

