તોશાખાના કેસમાં જેલવાસ ભોગવતા પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન મચ્છર અને કીડીઓથી પરેશાન
નવી દિલ્હીઃ તોશાખાના કેસમાં 3 વર્ષની સજાના આદેશ બાદ પાકિસ્તાનની પોલીસે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરીને અટક જેલમાં મોકલી આપ્યા હતા. અહીં તેમણે સી-ક્લાસની સુવિધાઓ આપવામાં આવતી હોવાની તેમના વકીલે ફરિયાદ કરી હતી. એટલું જ નહીં તેમણે બેરેકમાં ખુલ્લુ શૌચાલયમાં છે જેને દરવાજો અને દિવાર પણ નહીં હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત તેમને જેલમાં મચ્છર અને કીડીઓ કરડીને પરેશાન કરતી હોવાની પણ રાવ કરીને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી કરી ઈમરાન ખાનને જેલમાં યોગ્ય સુવિધાઓ પુરી પાડવાની માંગણી કરી હતી.
ભ્રષ્ટાચારના કેસમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને અટક જેલમાં રાખવામાં આવ્યાં છે. જેલસત્તાવાળાઓ દ્વારા બે દિવસ સુધી વકીલો અને તેમના પાર્ટીના આગેવાનોને મળવાની મંજુરી આપી ન હતી. જો કે, ઈમરાનના કાનૂની મામલાઓના પ્રવક્તા નઈમ હૈદર પંજોથાને મળવાની મંજુરી આપવામાં આવ્યાં હતા. તેમણે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી કરીને અટક જેલમાં બંધ ઈમરાન ખાનની કસ્ટડીને અવૈદ્ય જાહેર કરવાની માંગણી કરી હતી. તેમજ પીટીઆઈ પ્રમુખને જેલમાં યોગ્ય સુવિધાઓ પુરી પાડવા માટે રજુઆત કરી હતી.
નઈમ હૈદર પંજોથાના જણાવ્યા અનુસાર બેરેકમાં ખુલ્લુ શૌચાલય છે જેમાં કોઈ દરવાજો કે દિવાર નથી, એટલું જ નહીં રાતના વરસાદનું પાણી પણ ઘુસી ગયું હતું. નાની જગ્યાને કારણે ઈમરાન ખાનને નમાઝ પઠવામાં પણ સમસ્યા થતી હોવાની ફરિયાદ કરી હતી. જેલમાં ઈમરાન ખાનને સવારે મચ્છર અને રાતના કીડીઓ કરડે છે. જેલમાં ઈમરાન ખાનને સામાન્ય દાળ અને પાલક આપવામાં આવે છે તેમાં તેમને કોઈ સમસ્યા નથી. તેમ છતા તેમને જેલમાં યોગ્ય સુવિધાઓ પુરી પાડવાની જોઈએ.
ઈમરાન ખાનને જે જેલમાં રાખવામાં આવ્યાં છે તે જેલમાં અનેક ખુંખાર ગુનેગારો જેલવાસ ભોગવી રહ્યાં છે. બીજી તરફ ઈમરાન ખાનને પણ હવે મૃત્યુનો ભય સતાવી રહ્યો છે.