વૈશ્વિક તણાવ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: રક્ષા મંત્રી રાજનાથ સિંહ
લખનૌ, 13 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા ભયાનક તણાવની વચ્ચે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે દેશની જનતાને મોટી રાહત આપતા મહત્વની જાહેરાત કરી છે. લખનૌમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભલે ગમે તેટલું મોટું વૈશ્વિક સંકટ આવે, પરંતુ ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં કોઈ પણ સંજોગોમાં વધારો થવા દેવામાં આવશે નહીં.
ભાજપના વરિષ્ઠ જનસંવાદ કાર્યક્રમને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે, “પશ્ચિમ એશિયાનું સંકટ ઘણું ગંભીર છે અને તે ક્યારે શાંત થશે તે કહેવું મુશ્કેલ છે. તેમ છતાં, ભારતની મજબૂત કૂટનીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સક્રિયતાને કારણે આપણે આ સંકટથી સુરક્ષિત છીએ.” તેમણે ઉમેર્યું કે ભારતના વહાણો આજે પણ હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ રહ્યા છે, કારણ કે આપણા સંબંધો અમેરિકા અને ઈરાન બંને સાથે સારા છે.
રક્ષા મંત્રીએ વિરોધ પક્ષો કે અન્ય તત્વો દ્વારા ફેલાવવામાં આવતા હોર્ડિંગ્સ અને દુષ્પ્રચાર પર નિશાન સાધતા કહ્યું કે, અન્ય દેશોમાં ઇંધણની અછત સર્જાઈ છે, પરંતુ ભારતમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. જનતાએ ભાવવધારાના ખોટા પ્રચારને નકારી કાઢ્યો છે અને વડાપ્રધાનની દૂરદૃષ્ટિ પર વિશ્વાસ મૂક્યો છે. લખનૌ પ્રત્યે પોતાનો લગાવ વ્યક્ત કરતા રાજનાથ સિંહે કહ્યું કે, “લખનૌ મારા હૃદયમાં વસે છે. છેલ્લા 10-12 વર્ષોમાં અહીં જે અભૂતપૂર્વ વિકાસ થયો છે તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કુશળ નેતૃત્વનું પરિણામ છે.”
આ પ્રસંગે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે પણ હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજનાથ સિંહે લખનૌમાં ઘર જેવું વાતાવરણ બનાવ્યું છે અને અહીંની શિક્ષણ, સંસ્કૃતિ અને જીવનશૈલી આજે સમગ્ર દેશમાં શાનદાર ઉદાહરણ પૂરું પાડે છે.


