PM મોદી અને કેનેડિયન PM માર્ક કાર્ની વચ્ચે મુલાકાત, વ્યાપાર-ઊર્જા સહિતના મુદ્દે મંથન
નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો ફરી એકવાર પાટા પર આવી રહ્યા હોય તેવા સંકેતો મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે કેનેડાના વડાપ્રધાન માર્ક જે. કાર્નીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા યોજાઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વિપક્ષીય ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાનો હતો.
PM મોદી સાથેની મુલાકાત પહેલા, આજે સવારે વિદેશ મંત્રી એસ. જયશંકરે કેનેડિયન પીએમ માર્ક કાર્ની સાથે મુલાકાત કરી હતી. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, “આગળની ભાગીદારી મજબૂત કરવા માટે કેનેડાની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે.” ઉલ્લેખનીય છે કે, પીએમ કાર્ની રવિવારે મુંબઈની મુલાકાત પૂર્ણ કરીને દેશની રાજધાની પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે તેમનું સ્વાગત કર્યું હતું.
જૂન 2025માં G7 અને નવેમ્બર 2025માં G20 સમિટ દરમિયાન થયેલી ચર્ચાઓને આગળ વધારતા, બંને નેતાઓએ વેપાર અને રોકાણ, ઊર્જા અને ખનિજો, કૃષિ અને શિક્ષણ તથી પીપલ-ટુ-પીપલ કનેક્ટ જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.
ઔપચારિક મંત્રણા ઉપરાંત, વડાપ્રધાન મોદી અને પીએમ કાર્ની ‘ભારત-કેનેડા CEOs ફોરમ’માં પણ ભાગ લેશે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક અને આર્થિક મુદ્દાઓ પર પરસ્પર ફાયદા માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ પોતાના વિચારો શેર કરશે.
આ પણ વાંચોઃ ખામેનેઈના મોતના વિરોધમાં કરાચીથી પીઓકે સુધી તોફાનો, 35ના મોત


