ખોડલધામ દ્વારા PM નરેન્દ્ર મોદીને આમંત્રણ અપાશે, 31મીએ વડાપ્રધાન મુલાકાતે આવે તેવી શક્યતા
રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે દોઢ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારનો જોરશોરથી પ્રારંભ શરૂ કરી દીધો છે. વડાપ્રધાન પણ સમયાતંરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં પાટિદાર સમાજના મતોનું પ્રભુત્વ રહેતુ હોય છે. કારણે કે, 50થી વધુ બેઠકો પર પાટીદારોનું વર્ચસ્વ છે. ત્યારે પાટીદાર સમાજને પોતાની પરફેણમાં કરવા માટે તમામ પક્ષો પ્રયાસો કરી રહ્યા છે. જો કે પાટિદારો શરૂઆતથી ભાજપ સાથે રહ્યા છે. ત્યારે લેઉવા પાટિદાર સમાજના આસ્થાના કેન્દ્રસમા ખોડલધામના ટ્રસ્ટીઓએ ખોડલધામની મુલાકાત લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાનો નિર્ણય કર્યો છે. એટલે 31મી ઓક્ટોબરે વડાપ્રધાન ખોડલધામની મુલાકાતે આવે તેવી શક્યતા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 19મીએ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારપછી ફરી એક વખત આગામી તા.31 ઓક્ટોબરે ખોડલધામની મુલાકાતે આવે તેવી શક્યતા છે. આ અંગે રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટી અને પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, અમે આવતા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા માટે જઈશું. દિવાળી બાદ તા.31 ઓક્ટોબરે અથવા તો નવેમ્બરના પહેલા સપ્તાહમાં વડાપ્રધાન મોદી ખોડલધામ આવશે. મહત્ત્વનું છે કે, સૌરાષ્ટ્રની 22 બેઠકો પર લેઉવા પાટીદારોનું વધારે પ્રભુત્વ રહેલું છે. PM મોદીના આગમનથી આ બેઠકોને સીધી અસર થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે પાટીદાર મતદારોની ચર્ચા થવા લાગે. જ્યારથી ગુજરાતની કમાન વિજય રૂપાણીના હાથમાંથી લઈને ભૂપેન્દ્ર પટેલના હાથમાં સોંપવામાં આવી છે ત્યારથી ભાજપ દ્વારા ગુજરાતના પાટીદારોને રીઝવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 100ના આંકડાને પણ પાર કરી શકી નહોતી, તેનું મુખ્ય કારણ પાટીદાર સમાજની નારાજગી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આવી સ્થિતિમાં જો આ વખતે સારી જીત મેળવવી હોય તો પાટીદારોને ફરી ભાજપ તરફ કરવા જરૂરી છે. રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદારની 15 ટકા વસતિને કારણે ચૂંટણીમાં સીધી અસર કરી જાય છે. એ જોતાં વિધાનસભાની 2012 અને 2017ની ચૂંટણીનાં પરિણામો જોઈએ તો 2012માં ગુજરાતમાં કુલ 182 ધારાસભ્યમાંથી 50 ધારાસભ્ય પાટીદાર હતા, જેમાંથી 36 ધારાસભ્ય ભાજપમાંથી ચૂંટાયા હતા. 2016માં પાટીદાર આંદોલન બાદ સમીકરણ બદલાયાં અને કોંગ્રેસની પાટીદાર બેઠકમાં વધારો થયો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્ય જીત્યા હતા, એટલે કે 2017માં ભાજપના 8 પાટીદાર ધારાસભ્યનો ઘટાડો થયો હતો.