
ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ, માર્ગદર્શિકા જાહેર કરાઈ
અમદાવાદઃ ગુજરાતમાં તા. 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને રાજ્ય સરકાર દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર તાલુકા કક્ષાના રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટે 250 લોકોને જ આમંત્રણ આપી શકાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારે પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ એક માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે 26 જાન્યુઆરીની ઉજવણી માત્ર 56 મિનિટમાં જ પૂરી કરવા આદેશ કરાયો છે. આ અંગે સામાન્ય વહીવટી વિભાગે કલેક્ટર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને જાણ કરી છે. આમ આ વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાદગીથી કરવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. ભારતમાં કોરોના મહામારીને પગલે અનેક તહેવારોની ઉજવણી સાદગીથી કરવામાં આવી છે.