અમદાવાદ, 3 જુલાઈ, 2026 : Preparations in full swing for Rath Yatra at Jagannathji temple શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રીતે યોજાતી હોય છે, અષાઢીબીજને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે 149મી રથયાત્રા માટે જગન્નાથજી મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિર પ્રશાસન દ્વારા ભગવાનના રથની મરામત તેમજ અન્ય વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રથ માટે લાકડાંમાંથી 6 પૈડા બનાવીને તૈયાર કરી દેવાયા છે. આમ મંદિર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા પણ રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ વધારીને રાત્રી દરમિયાન વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રથયાત્રાના માર્ગ પર ભયજનક મકાનોની યાદી તૈયાર કરીને જર્જરિત ભાગને તોડી પડાયા છે.
શહેરમાં અષાઢી બીજને દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી પરિક્રમાએ નિકળશે, ભગવાનને આવકારવા માટે ભાવિકો અષાઢી બીજના દિનની રાહ જોઈ રહ્યા છે. જગન્નાથજી મંદિર દ્વારા રથયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રાની પરંપરા મુજબ ભગવાનના રથની સુરક્ષા અને જાળવણીની વિશેષ કાળજી લેવામાં આવે છે. દર બેથી ત્રણ વર્ષે ત્રણેય રથના આગળના ભાગના કુલ છ પૈડાં નવા બનાવવામાં આવે છે. આ વખતે પણ બાવળના મજબૂત લાકડામાંથી કારીગરો દ્વારા સતત 15 દિવસની કામગીરીના અંતે આ છ નવા પૈડાં બનાવીને તૈયાર કરવામાં આવ્યા છે. હાલમાં રથમાં આ નવા બનાવેલા પૈડાં લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ ફિટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી ત્રણથી ચાર દિવસમાં જ સુરક્ષા અને સંતુલનની ચકાસણી માટે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથનું મંદિર પરિસરની અંદર જ ટ્રાયલ લેવામાં આવશે.

