Site icon Revoi.in

ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને સંગઠિત થવા માટે રાહુલ ગાંધીએ સંદેશ આપ્યો

Social Share

અમદાવાદઃ લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ તેમના પ્રવાસના બીજા દિવસે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ કાર્યકરોને જણાવ્યું હતું કે, કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સત્તાની બહાર છે, પરંતુ હવે પરિવર્તનની જરૂર છે. તેમણે કોંગ્રેસના કાર્યકરોને સંગઠિત રહેવાનો સંદેશ આપ્યો અને કહ્યું કે પાર્ટીની વિચારધારા વિરુદ્ધ કામ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના લોકો છે, એક જે પાર્ટીની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ છે અને લોકો માટે કામ કરે છે અને બીજા જે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું કે, એવા લોકોને અલગ કરવા જરૂરી છે જેઓ કોંગ્રેસના નામે કામ કરી રહ્યા છે પરંતુ જનતાનું સન્માન અને કામ કરી રહ્યા નથી.

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં નેતાઓની કોઈ કમી નથી, પરંતુ સંગઠનને મજબૂત બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસ પોતાની જવાબદારી નિભાવશે નહીં, ત્યાં સુધી ગુજરાતના લોકો ચૂંટણીમાં પાર્ટીને સમર્થન આપશે નહીં. તેમણે કાર્યકરોને એક થવા અને લોકોની સેવા કરવા હાકલ કરી હતી.

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત હાલમાં અટવાયું છે અને તેને સાચી દિશા બતાવવાની જરૂર છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ મહાન નેતાઓએ કોંગ્રેસનો મજબૂત પાયો નાખ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ગુજરાતના યુવાનો, ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને મહિલાઓ માટે આવ્યા છે અને તેમના અધિકારો માટે લડતા રહેશે.

Exit mobile version